Published by : Vanshika Gor
સાળંગપુરમાં હનુમાનજીની મંદિર ખાતે આગામી હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી મહાકાય પ્રતિમાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરાશે. ત્યારે હવે ભક્તો આગામી 6 એપ્રિલે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરમાં
બોટાદના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિ પર ‘કિંગ્સ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની પંચધાતુથી નિર્મિત 54 ફૂટ ઊંચી મૂર્તિનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સાથે જ સાળંગપુર રૂ.55 કરોડના ખર્ચે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
હનુમાનદાદાની મૂર્તિ 7 કિમી દૂરથી દેખાશે
સાળંગપુરમાં મૂકાયેલી હનુમાન દાદાની મૂર્તિ એટલી વિશાળ હશે કે 7 કિલોમીટર દૂરથી જ તેના દર્શન થશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવાઈ છે અને તેને હરિણાયાના ગુરુગ્રામમાં તૈયાર કરાઈ છે. તેનું વજન 30 હજાર કિલો જેટલું છે. સમગ્ર કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1.35 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે.