Published by : Vanshika Gor
હરિયાણામાં ઈ-ટેન્ડરિંગનો વિવાદ હજુ પણ શાંત થવાનો નામ લેતો નથી. ઈ-ટેન્ડરિંગ રદ કરવાની માંગને લઈ હજારો સરપંચો હાઉસિંગ બોર્ડ ચોક પાસે બેસી ગયા છે. દરમિયાન CM આવાસનો ઘેરાવો કરવા જઈ રહેલા સરપંચો બુધવારે પંચકૂલા સુધી પહોંચ્યા હતા, જ્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં 100થી વધુ સરપંચો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ પોલીસે મોડી રાત્રે 4 હજાર સરપંચો વિરુદ્ધ IPCની 10 કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તો સરપંચોએ પણ ચંડીગઢ-પંચકૂલા બોર્ડર પર જ ધરણા કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઈ-ટેન્ડરિંગના વિરોધ રાજ્યભરમાં પ્રદર્શન
ઈ-ટેન્ડરિંગના વિરોધમાં આખા રાજ્યભરમાંથી સરપંચો આવી રહ્યા છે અને પંચકૂલાના શાલીમાર ગ્રાઉન્ડમાં સવારથી ભેગા થયા હતા. બપોરે એક વાગ્યા સુધીમાં 5 હજારથી વધુ લોકોએ ચંડીગઢ પહોંચવા કૂચ શરૂ કરી દીધી હતી. બપોરે 2 વાગે લગભગ તેઓ શાલીમાર ગ્રાઉન્ડથી રવાના થયા અને ત્રણ વાગ્યા સુધીમાં મોટાભાગના સરપંચો હાઉસિંગ ચોક બોર્ડર પર પહોંચ્યા હતા, જ્યાં ચંડીગઢ કૂચ દરમિયાન સરપંચો અને પોલીસ વચ્ચે ઝપાઝપી શરી થઈ હતી.
સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ ગઈ
વિરોધ પ્રદર્શન કરી રહેલા સરપંચોને સૂચના મળી હતી કે, સરકાર ચર્ચા માટે તૈયાર છે. ત્યારબાદ 3.30 કલાકે સરપંચોનું પ્રતિનિધિમંડળ ચંડીગઢ જવા માટે રવાના થયું હતું. જોકે મુલાકાત ન થતા સરપંચો પાછા આવ્યા હતા. લગભગ 4 વાગ્યાની આસપાસ ભુપેશ્વર દયાલ પહોંચ્યા અને તેમની સાથે સરપંચોની ચર્ચા થઈ હતી, જોકે વાત આગળ ન વધતા ભુપેશ્વર પરત ફર્યા હતા. લગભગ બે કલાક સુધીની ચર્ચા માટેની બેઠક નિષ્ફળ ગયા બાદ સરપંચોએ ફરી પ્રદર્શન શરૂ કર્યું. સ્થિતિ બેકાબુ બનતા પંચકુલા પોલીસે સરપંચો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો, જેમાં 100થી વધુ સરપંચો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ મોડીરાત્રે પંચકૂલા પોલીસે સરપંચો વિરુદ્ધ IPCની કલમો 147/148/149/323/332/353/325/186/188/283 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
વિરોધના કારણે વાહનવ્યવહાર ખોરવાયો
વિરોધને કારણે પંચકુલાથી હાઉસિંગ બોર્ડ તરફ જતો રસ્તો બુધવારથી બંધ છે. હાઉસિંગ બોર્ડ ચોકમાં રસ્તો બંધ થવાને કારણે પંચકુલા અને ચંદીગઢના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર ખોરવાઈ જવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.