- વંદે ભારત સહિત ટ્રેન સાથે પશુઓના અકસ્માત અંગે રેલ્વે વિભાગનો નિર્ણય…
છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત સહિત ટ્રેન સાથે પશુઓના અકસ્માતના કિસ્સા સામે આવી રહયા છે. ત્યારે ભારતીય રેલ્વે વિભાગે ટ્રેનમાંથી સતત કપાઈ રહેલા પ્રાણીઓના મોતના મામલામાં મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલ્વે ટ્રેનના પાટા ફરતે ફેન્સીંગનો પ્રયોગ કરાશે. ફેન્સીંગ એવા સ્થળોએ લગાવવામાં આવશે જ્યાં પ્રાણીઓ અથડાવાના વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 2,650થી વધુ પ્રાણીઓ રેલ્વે ટ્રેક પર ટ્રેન સાથે અથડાયા છે. આંકડાઓ સામે આવ્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંકડામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. ફેન્સીંગનું મોટાભાગનું કામ ઉત્તર મધ્ય રેલવે ઝોનના પ્રયાગરાજ પટ્ટામાં કરવામાં આવશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપી છે ઓક્ટોબર મહિનાના પ્રથમ 9 દિવસમાં જ 200 જેટલી ટ્રેનો જાનવરો સાથે અથડાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ હતી. રેલ્વે ટ્રેકની આસપાસ 1 હજાર કિલોમીટર સુધી બાઉન્ડ્રી બનાવવી પડશે. આ કામમાં 5 વર્ષ અને 6 મહિનાનો સમય લાગશે. આ ટ્રેનોમાં નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે. આ વર્ષે 4 હજારથી વધુ ટ્રેનો આવી ઘટનાઓથી પ્રભાવિત થઈ છે. તો રેલવે મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ‘અમે હાલમાં બે અલગ અલગ ડિઝાઈન જોઈ રહ્યા છીએ. અમે તેમાંથી એકને મંજૂરી આપી છે જે Ace સ્ટર્ડી વોલ હશે. આગામી 5 થી 6 વર્ષમાં અમે 1,000 કિલોમીટર લાંબી બોર્ડર બનાવવાનું નક્કી કર્યું છે. આ સીમા કેટલી કામ કરશે તે જોયા પછી જ આગળનો નિર્ણય લઈશું. પરંપરાગત રીતે બનાવેલી સીમા આ સમસ્યા સામે લડવા માટે પૂરતી નથી. જો આવી સીમાઓ બનાવવામાં આવશે તો નજીકમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રેલ્વે અનુસાર, 2021 થી 2022 સુધીમાં, આવા લગભગ 26,000 પ્રાણીઓની અથડામણના મામલા સામે આવ્યા છે.