- અમરકંટકથી વમલેશ્વર પહોંચી નર્મદા મૈયાના દર્શન બાદ નર્મદા પરિક્રમા પૂર્ણ થતી હોવાની માન્યતા
ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલ વમલેશ્વર ગામ સ્થિત નર્મદા મૈયાના મંદિરે દર્શન કર્યા બાદ નર્મદા પરિક્રમાવાસીઓની પરિક્રમા પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યા જોવા મળે છે. મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતીય માળામાંથી ખળખળ વહેતી નર્મદા નદીની પરિક્રમા અમરકંટકથી શરૂ કરવામાં આવે છે. જે નર્મદા નદીના પટમાંથી પરિક્રમાવાસીઓ અનેક કષ્ટ કાપી તેના છેલ્લા પડાવ વમલેશ્વર ગામમાં આવે છે.
વમલેશ્વર ગામના નર્મદા મૈયાના મંદિરે દર્શન બાદ પરિક્રમા પૂર્ણ થાય છે
પરિક્રમાવાસીઓ ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિરે દર્શન અને ટૂંકુ રોકાણ કરે છે અને નાવડીમાં સવાર થઈ સામે પાર જાગેશ્વર ગામમાં પહોંચી ત્યાંથી નર્મદા પરિક્રમાનો બીજો તબક્કો શરૂ કરે છે.પરંતુ વમલેશ્વર જ કેમ પરિક્રમાવાસીઓ આવતા હોય છે તેવા પ્રશ્ન વચ્ચે નર્મદા નદી વમલેશ્વર ગામ પાસે જ મળી જતી હોવાથી વમલેશ્વર ગામને નર્મદા નદી છેલ્લો ઘાટ માનવામાં આવે છે.
રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પુણ્ય પ્રાપ્ત થાય છે
પંચાયત બોડીના સભ્ય અને વમલેશ્વર સંગમ તીર્થધામ ટ્રસ્ટી જીગ્નેશભાઈ જણાવ્યું હતું કે અમરકંટકથી લઈ વમલેશ્વર લાખો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. પરિક્રમાવાસીઓને આ સ્થળે ફરજિયાત આવવુ જ પડે છે તો જ તેમની પરિક્રમા પૂર્ણ થાય છે. આ સ્થળ એટલે કે રેવા સંગમ તીર્થધામ એટલે કે માં નર્મદા નદી અને સમુદ્રનો સંગમ એ જે જગ્યા એટલે કે વમળ ઉત્પન્ન થાય તેના નામ પરથી ગામનું નામ વમલેશ્વર પડ્યું છે. પરિક્રમાવાસીઓ અહીં આવી પોતાનું પુણ્ય પ્રાપ્ત કરે છે.
નાવડીમાં સવાર થઈ નર્મદા પરિક્રમાવાસીઓ સામે પાર જાગેશ્વર પહોંચે છે
નર્મદા પરિક્રમાવાસીઓ અહીં આવી નાવડીમાંથી સમુદ્ર પાર કરે છે. ઘણા સંતો સહિત શિક્ષિત લોકો પરિક્રમા માટે આવે છે. ટ્રસ્ટી જીગ્નેશભાઈ નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવા સહિતની સારી વ્યવસ્થાઓ કરે છે. વમલેશ્વર ગામમાંથી પણ ઘણા લોકોએ નર્મદા પરિક્રમા કરી છે. તેઓએ પોતે પણ મોટરસાયકલ પર બે થી ત્રણ વખત નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે. તેથી જ તેઓને ખબર છે માં નર્મદા નદી શું છે અને તેનું મહત્વ શું છે માટે તેઓ અહીં આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સેવા આપે છે.