Published by : Rana Kajal
- ચાદર-ટોવેલ પાકિસ્તાન-બાંગ્લાદેશથી મંગાવાયા છે….અમે એવુ ઈચ્છીએ કે ગુજરાતથી એક્સપોર્ટ થાય- હોટેલિયર નિશાંત પટેલ
એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના ચેરમેન નિશાંત પટેલે જણાવ્યું કે ગુજરાતીઓની અમેરિકામાં 90 ટકા હોટલ છે. અત્યારે 34 હજાર હોટલોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ચાદર અને ટોવેલ લાવવામાં આવે છે. અને અમે ઈચ્છીએ છીએ કે હવે મેઈડ ઈન ગુજરાત ટોવેલ અને ચાદર અમેરિકામાં આવે. તો સાથેસાથે પટેલેએ જણાવ્યું કે અમારે ગુજરાત અને ભારતમાં રોકાણ કરવું છે પણ અમને એ ખ્યાલ નથી કે ક્યાં રોકાણ કરવું?
ગુજરાત સરકાર સાથે બે મિટિંગ યોજાઈ
અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનની ગુજરાત સરકાર સાથે અલગ અલગ બે મિટિંગ યોજાઈ હતી. ગત રોજ યોજાયેલી બેઠક ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના એનઆરજી ચેરમેન હિમાંશુ વ્યાસના સંકલન હેઠળ યોજાયેલી તમામ બેઠકો પૈકી અમદાવાદ ખાતે પણ એક બેઠક યોજાઈ હતી. અલગ અલગ બેઠકની અંદર થયેલા સંવાદમાં ચર્ચાનો મુખ્ય હેતુ અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન આગામી સમયમાં યુએસ, ગુજરાત અને ભારતમાં કેવા પ્રકારના આયોજન કરવા ઈચ્છી રહ્યા છે તે અંતર્ગત હતો. આ મિટિંગના હેતુ અંગે નિશાંત પટેલે જણાવ્યું કે અમારા ત્રણ મુદ્દા છે, જેમાં નિયમો, ટેક્સટાઈલ અને ઇન્વેસ્ટમેન્ટનો સૌથી મહત્વનો મુદ્દો છે.

યુએસમાં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનની કુલ 34 હજાર હોટલ છે, જેના 20 હજાર સભ્યો છે. આ તમામ હોટલ પૈકી 90 ટકા ગુજરાતીઓની હોટલ છે. થોડાં સમય પહેલા વોશિંગ્ટન ડીસીમાં 100 ડેલિગેટ્સ લઈ ગયા અને યુએસ સરકાર સાથે મિટિંગ પણ કરી, જેમાં હોટલને હકારાત્મક રીતે અસર કરે તેવા નિયમો લાગૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
નિશાંત પટેલે જણાવ્યુ કે 2019માં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનએ સર્વે કર્યો કે જોબ ઓપનિંગ કેટલી છે? તો 90 ટકા હોટલમાં જોબ હતા. હાલ પણ બધી જ હોટલમાં જોબ ઓપન છે. 2019 કરતાં પણ વધારે માગ છે. જોબની ઉપલબ્ધતા એવી છે કે તમે આવો તો મહિનાની અંદર જોબ ગેરંટી છે. હોટલ ઈન્ડસ્ટ્રીમાં તો એક વીકમાં જ જોબ મળી જશે. ફેડરલ ગવર્મેન્ટ હાલ મિનિમમ વેજ 7.25 ડોલર આપે છે. અમે 15 ડોલર આપીએ છીએ. કેટલાક રાજ્યમાં મિનિમમ વેજ વધારે છે. અમે સરકારને કહ્યું છે કે, ટેક્સ ઓછો રાખવામાં આવે તો પ્રોપર્ટીમાં ઇમ્પ્રૂવમેન્ટ વધારે થાય. એમ પણ નિશાંત પટેલે જણાવ્યુ હતું.




