Published By : Patel shital
રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા હીટવેવ અંગે આગોતરા આયોજનના પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યસ્તરે પણ હીટવેવ સંદર્ભે આવશ્યક પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને હર્ષદ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ કુદરતી આપદાઓ માટે રાજ્યકક્ષાએ 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત છે. આવનાર મે સુધીના ત્રણ માસ દરમિયાન હીટવેવથી બચવા શું કરવું ? અને શું ન કરવું ? એ અંગે સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત, રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો દ્વારા આગોતરા આયોજન અંગે માહિતી આપતા રાહત કમિશ્નરે જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે, ઊર્જા વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો ચાલુ રહે, પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવું આયોજન કરવું, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવી, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.
સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની તેમજ ખુલ્લામાં ન ઊભા રહેવું પડે એ માટે છાંયડાની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી હતી. બેઠકમાં હવામાન વિભાગના વડા મનોરમા મોહંતી દ્વારા આગામી મે મહિના સુધી હીટવેવની મહત્તમ શક્યતાઓ અને અસરો અંગે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે ૪૫ ડિગ્રી કે તેથી વધુ તાપમાનને હીટવેવની અસર ગણવામાં આવે છે તેમજ તાપમાન ૪૭ ડિગ્રીથી વધે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.