ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો જાહેર પ્રચાર હવે પૂર્ણ થઇ ગયો છે . એક મહિના અગાઉ એટલે કે ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર માટે છેલ્લા એક મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૩૫, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૯ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે સભા સંબોધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ-કોંગ્રેસ-આપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. ભાજપના પ્રચારનો મુખ્ય મદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, પરષોત્તમ રૃપાલા પર જોવા મળ્યો હતો. વડાપ્રધાને તા ૧૯ નવેમ્બરના વલસાડ સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે ૨૦મીએ વેરાવળ-અમરેલી-ધોરાજી-બોટાદ, ૨૧મીએ સુરેન્દ્રનગર-જંબુસર-નવસારી, ૨૩મીએ મહેસાણા-દાહોદ-વડોદરા-ભાવનગર, ૨૪મીએ પાલનપુર-મોડાસા-દહેગામ-બાવળમાં જનસભા સંબોધી હતી. આ પછી તેમના દ્વારા તા ૨૭-૨૮ નવેમ્બર, ૧-૨ ડિસેમ્બરના ૧૪ જનસભા સંબોધવામાં આવી હતી.આમ, તેમણે ૧૩ દિવસમાં જ ૩૦ સભા તેમજ કેટલાક રોડ શો યોજ્યા હતા. જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ૨૦મીથી તાપી જિલ્લાના નીઝર ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અનેક સ્થળોએ દિવસની ચાર-ચાર જનસભા સંબોધી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નસવાડીથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને તેમણે કુલ ૨૪ જેટલી સભા સંબોધવા ઉપરાંત રોડ શો યોજ્યા હતા. તે સાથે કોંગ્રેસના રાહુલ ગાંધીએ ૨૧ નવેમ્બરે સુરતના મહુવા અને ત્યારબાદ તે જ દિવસે સાંજે જનસભા સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે છેલ્લા એક સપ્તાહમાં વધુ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે ૨૭ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી કુલ ૮ સભાઓ સંબોધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ સભાઓ યોજવામાં આવી હતી.