માતા મહાગૌરી દુર્ગા માતાનો સાતમો અવતાર છે. નવરાત્રીના આઠમા દિવસે એટલે કે આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નામ પ્રમાણે જ તેમનો રંગ સંપૂર્ણપણે ગૌર એટલે કે સફેદ છે. તેમના વસ્ત્રો પણ સફેદ રંગના છે અને તમામ ઘરેણાં પણ સફેદ છે. તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે. તેમને ચાર હાથ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેના હાથમાં વરમુદ્રા છે. એવું કહેવાય છે કે, ભગવાન શિવને પતિના રૂપ
માં મેળવવા માટે તેમણે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. જેના કારણે તેમનો રંગ કાળો થઈ ગયો હતો. પરંતુ બાદમાં ભગવાન મહાદેવે ગંગાના જળથી તેમના રંગને ફરીથી સફેદ કરી દીધો હતો.
મા મહાગૌરીને પ્રસન્ન કરવાનો મંત્ર
श्री क्लीं ह्रीं वरदायै नम:
પૌરાણિક કથા
પર્વત રાજા હિમાલયના ઘરે જન્મ લીધા પછી, માતા પાર્વતીએ મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. હજારો વર્ષની કઠોર તપસ્યા દરમિયાન માતાએ કંઈ ખાધું નહીં અને તેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભોલેનાથે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને માતાના દેહને ફરીથી ગોરો બનાવી દીધો. ત્યારથી માતાને મહાગૌરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
માઁ મહાગૌરી વિશે બીજી એક અન્ય પૌરાણિક કથા છે. જ્યારે રાક્ષસોને મારવા માટે માઁ કાલરાત્રીનો જન્મ થયો હતો. ત્યારે ભગવાન ભોલેશંકરે માતાને કાળી કહીને ચીડવ્યા. તે પછી, માતાએ ત્વચાને ફરીથી ગોરી બનાવવા માટે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. આ પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને માતા પાર્વતીને હિમાલયના માનસરોવરમાં સ્નાન કરવા કહ્યું. જ્યારે માતાએ માનસરોવરમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શરીર દૂધ જેવું સફેદ થઈ ગયું હતું. ત્યારથી માતાને મહાગૌરી કહેવા લાગ્યા.