અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ આજે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદના પ્રવાસે આવેલા કેજરીવાલે આજે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી. મુખ્યમંત્રીના ચહેરા માટે AAPએ કરેલા પોલમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા.
‘રાજનીતિ મારો શોખ નથી મારી મજબૂરી છે’
જે બાદ ઈસુદાન ગઢવીએ આજે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે રાજનીતિમાં કેમ આવ્યા તે માટે પણ જણાવ્યું હતું. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે રાજનીતિની તાસીર બદલી નાખી. મારા જેવો નાના ખેડૂતનો દીકરો આજે અહીં પહોંચ્યો છે. હું કરિયરના ટોચ પર હતો ત્યારે નોકરી છોડી રાજનીતિમાં પ્રવેશ્યો. મને ઘણા લોકો કહેતા કે તમે મૂર્ખ છો. મેં રાજીનામું આપ્યું ત્યારે ગોપાલભાઈ અને મનોજભાઈ બંને મારી પાસે આવ્યા અને કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાનભાઈ તમારે રાજીનીતિમાં આવવું જોઈએ. જો તમે શો ચલાવો છો તો તમે અવાજ તો ઉઠાવશો પરંતુ આ નિર્ભર સિસ્ટમ તમને એ કામ નહીં કરવા દે. અટલે મેં નક્કી કર્યું કે હું રાજનીતિમાં જઈશ. રાજનીતિ મારો શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતના લોકોની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યું છું.
તેમણે આગળ કહ્યું, હું ગુજરાતની જનતાને ભગવાનની સાક્ષીમાં વાયદો કરો છું, મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. મારો પરિવાર છે તેમણે પણ નહોતી ખબર કે હું રાજનીતિમાં જઉં છું, મેં તેમને બે દિવસ સુધી મનાવ્યા છે. મારી પાસે ખેડૂતો તેમની સમસ્યાઓ લઈને આવી જતા હતા. જો આપણે સારા લોકો રાજનીતિમાં નહીં જઈએ તો આ લોકો લૂંટી લેશે. આ ખેડૂતોને વાયદો કરું છું કે ભગવાને ઈચ્છ્યું, તો હું તમને આશ્વાસન આપું છું કે 75 વર્ષમાં જે નથી થયું, તે હું 5 વર્ષમાં ન કરી શકું તો હું રાજનીતિ છોડી દઈશ.