દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. PM મોદી હેલિપેડ પર આવી પહોંચ્યા હતા અને કારમાં સાબરડેરી જવા રવાના થયા હતા. વડાપ્રધાને સાબરડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-2.43.57-PM-1024x695.jpeg)
ઈડર વડાલી ખેડ ના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે – પીએમ મોદી
આ પ્રસંગે વડાપ્રધાને જનતાને સંબોધતા કહ્યું હતું કે જે જે નવા પ્લાન્ટોનું લોકાર્પણ થયું છે અને જેનું ભૂમિપૂજન થયું છે એ સાબર ડેરીના સામર્થ્યને વધારવામાં મદદ કરશે. હું સાબર ડેરી અને આ આંદોલન સાથે જોડાયેલા તમામને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમે જનતાને ગુજરાતીમાં કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દસકા પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે. અહિં સાબરકાંઠામાં આવીએ એટલે કાંઈ નવું ન લાગે પણ રોજ કાંઈક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. ઈડર વડાલી ખેડના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/new-project-5_1658998640.jpg)
3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં – PM મોદી
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.
3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં સરકાર આપે છે – પીએમ મોદી
PM મોદીએ સાબરકાંઠાના પોતાનાં જૂના સાથીઓને યાદ કર્યા હતા. તેમણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ જ્યેન્દ્રસિંહ રાઠોડ અને હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ શ્રીરામ સંખલાને યાદ કર્યા હતા. તેમણે પ્લાસ્ટિકના ઉપયોગને લઈને જણાવ્યું હતું કે પશુઓની સારવાર માટે ઓપરેશન કરીએ એટલે તેમના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું. દૂધનો પૈસો મહિલાઓ પાસે જ જવો જોઈએ જેની તેમણે શરૂઆત કરાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં 10 હજાર એફપીઓ શરૂ કરવાનું કાર્ય ચાલુ છે. ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. નાની જમીન ધરાવતા ખેડૂતોની આવક વધી છે. સાબરડેરી હવે સમગ્ર જિલ્લામાં મધમાખીની પેટી ખેડૂત પશુપાલકોને આપી રહી છે. 3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં સરકાર આપે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/new-project-6_1658998619.jpg)
બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો
પીએમે 15 નવેમ્બર ભગવાન બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય પણ બનાવી રહી છે. આદિવાસી સમાજમાંથી આવનારી દેશની દીકરી પ્રથમ વખત ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. દેશે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 130 કરોડથી વધુ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.