પશુપાલન થકી તમે તગડી કમાણી કરી શકો છો. તેના માટે કોઈ વિશેષ સ્કીલની પણ જરુરિયાત નથી. ગુજરાતમાં પણ અનેક ભણેલા-ગણેલા વ્યક્તિઓ, મહિલાઓ અને કપલ્સ પોતાની નોકરી છોડીને આ વ્યવસાય તરફ વળી રહ્યા છે. આ વ્યવસાયની સૌથી મોટી ખૂબ એ છે કે તેમાં માગ ક્યારેય ઘટતી નથી. એટલે કે ભલે પહેલાથી અનેક લોકો વેપારમાં હોય તેમ છતાં તમને પણ આ બિઝનેસમાં તગડી કમાણીની તક જરુર મળે છે.
પશુપાલનના વ્યવસાય અંગે સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે ગામડામાં રહેતા અને ઓછું ભણેલા લોકો આ વ્યવસાય કરે છે. બીજુ એક કે જો નાના પાયે કરવામાં આવે તો આ વ્યવસાયમાં કંઈ ખાસ આવક થતી નથી. જ્યારે મોટાપાયે કરવા માટે તમારે ખાસ્સુ રોકાણ કરવું પડે છે. જોકે આ તમામ માન્યતાને દૂર કરતાં કેટલાક ઉદાહરણો આપણા જ ગુજરાતનામાં છે જેમાં ડબલ ગ્રેજ્યુઅટ મહિલાથી લઈને એન્જિનિયરિંગ કપલ અને એક અભણ મહિલા સહિતના તમામ લોકોએ આ વ્યવસાયને અપનાવ્યો છે અને આજે ખૂબ જ સફળ બન્યા છે.
આણંદના ખંભોળજના રહેવાસી આ મહિલાનું નામ પારુલબેન છે અને ભણેલા-ગણેલા હોવા છતાં તેઓ આજે પોતાના ગાયના તબેલાનું દરેક કામ ખૂબ જ સહજતાથી કરી લે છે. પારુલબેને BA અને પછી LLBનો અબ્યાસ કર્યો છે. જે બાદ તમણે શિક્ષકની નોકરી કરી હતી.આજે પારુલબેનના તબેલામાં 120 જેટલી ગાયો છે. જેના દ્વારા તેઓ રોજનું 400 લીટર દૂધ અમૂલ ડેરીમાં જમા કરાવે છે. આ રીતે તેઓ વર્ષે 48 લાખ રુપિયાનું દૂધ અમૂલને આપે છે. આ આવકમાંથી ગાયોની સારસંભાળ રાખવા અને પોતાના તબેલામાં કામ માટે રાખેલા પાંચ પરિવારોને નિભાવ્યા બાદ પણ તેઓ લાખો રુપિયાનો નફો કમાઈ લે છે. આવા એકલ દોકલ દાખલા નથી આવી જ રીતે અમદાવાદનું એક એન્જિનિયરિંગ કપલ જેમની તો નોકરીનો પગાર જ લાખો રુપિયામાં હતો તેઓ પણ નોકરી છોડીને પશુપાલન તરફ વળ્યા છે અને આજે લાખોમાં કમાણી કરી રહ્યા છે. મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા શ્રીકાંત માલદે એક સોફ્ટવેર એન્જિનિયર છે, જ્યારે તેમના પત્ની ચાર્મી માલદે કેમિકલ એન્જિનિયર. શ્રીકાંત એક કંપનીમં તો ચાર્મી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં હતા. જોકે તેમણે પોતાના બોસ બનવા માટે નોકરી છોડી અને પશુપાલન તરફ આગળ વધ્યા હતા. 4 ગાય અને A2 દૂધથી પોતાનો વ્યવસાય શરું કરનાર કપલે તો ગાય આધારીત 350 જેટલી સ્વાસ્થ્ય આધારીત પ્રોડક્ટ સાથે ગૌનીતિ ઓર્ગેનિક નામથી પોતાની કંપની જ બનાવી દીધી છે. આજે તેમની પાસે 100 ગીર ગાય છે અને 20 કર્મચારીઓની ટીમ છે.
સરકારી યોજનાનો લાભ: આ વ્યવસાય કરવા માટે તમને રાજ્ય સરકાર તરફથી અનેક જુદી જુદી સહાય પણ મળે છે. જેમાં સરકાર પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનામાં લાભ લેવાની મુખ્ય પાત્રતા ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ અને તેની અરજી ઓનલાઈન કરી હોવી જોઈએ. સરકાર દ્વારા પશુઓની ખરીદી, ખાણદાણ અને ઘાસચારાની ખરીદી, દુધાળા પશુઓને રાખવા માટેના એકમની સ્થાપના માટે 12 ટકા વ્યાજ સહાય, કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય સહિતની અનેક યોજનાઓ છે. જેના માટે https://ikhedut.gujarat.gov.in/ પરથી એપ્લાય કરી શકો છો.




