હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં અધિકારીઓની બદલીને મુદ્દે ગુજરાત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ વિવાદમાં મુકાઇ ગયું છે. આ વિવાદની વિગત જોતાં સચિવાયલમાં કામ કરતા 13 IAS ઓફિસર એવા છે જેમને એક જ જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષ થઈ ચુક્યા છે. તેથી ચૂંટણીના સમયે તેમની બદલી થવી જોઈએ પરંતુ બદલી થઈ નથી. કેટલાક તો એવા છે જેમને એક જગ્યાએ પાંચ વર્ષ થયા છે. જો કે આ બાબતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ટ્રાન્સફરને મામલે મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા, DGPને આ અંગે નોટિસ આપવામાં આવી ચુકી છે. અને તેથી જ ચૂંટણીની જાહેરાત થાય તેના એક દિવસ પહેલા પણ કેટલીક બદલીઓ કરવામાં આવી હતી. હાલમાં ત્રણ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ હોય તેવા 13 IAS અધિકારી છે. જેમાં ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનના એમ ડી સંજય નંદન ફેબ્રુઆરી-2018, વત્સલા વાસુદેવ GIPCLના એમ ડી તરીકે ઓગસ્ટ-2018, નર્મદા વોટર સપ્લાયના ધનંજય દ્વિવેદી ઓગસ્ટ-2019, ફૂડ ડિપાર્ટમેન્ટના સચિવ એમ.શાહિદ, GSPCના એમ ડી સંજીવકુમાર સપ્ટેમ્બર-2019, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વિનોદ રાવ જુલાઈ-2018, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના મિલિન્દ તોરવણે સપ્ટેમ્બર-2019, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ સપ્ટેમ્બર-2019, એનર્જી ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી એમ.આઈ.પટેલ તો છેક મે-2017, આર.એસ.નિનામા સપ્ટેમ્બર-2019, શિક્ષણ વિભાગના ડિરેક્ટર એમ.નાગરાજન ડિસેમ્બર-2019, સિવિલ સપ્લાયના તુષાર ધોળકીયા સપ્ટેમ્બર-2019 અને ટી.વાય.ભટ્ટ MGVCLના એમડી તરીકે નવેમ્બર 2019થી કાર્યરત છે.
એક તબક્કે એમ માની પણ લઈએ કે આ અધિકારીઓ ભલે સીધી કે આડકતરી રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા નથી. એટલે તેમને ન બદલવા જોઈએ. તેમ છતાં રાજ્ય સરકારના બદલીના નિયમ પ્રમાણે જેઓ ત્રણ વર્ષથી એક જગ્યાએ હોય તેમને બદલવાના હોય છે. જો કે ભાજપની સરકારમાં આવા નિયમોનો ચુસ્ત રીતે અમલ નથી થતો એ અલગ બાબત છે.
જૉકે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથીએ જણાવ્યુ હતું કે, આ 13 IAS ઓફિસર ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા નથી. એટલે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ તેમને ખસેડવામાં આવ્યા નથી.




