પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી ચાલુ વર્ષે જુલાઇ માસ સુધીના સાત માસમાં અમદાવાદ વિભાગમાંથી ઘરેથી ભાગેલા 80 બાળકોને રેલવે પ્રોટેક્શન ફોર્સે શોધીને તેમના પરિવારજનોને સુપર્ત કર્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા ‘ઓપરેશન નન્હે ફરિસ્તે ‘ અંતર્ગત કુલ આવા 487 બાળકો મળી આવ્યા હતા. જેમાં 313 છોકરા અને 174 છોકરીઓ હતી. જેઓનું સલામત રીતે તેમના પરિવારજનો સાથે પૂનઃમિલન કરાવી આપવાનું માનતાપૂર્ણ અને સરાહનીય કામ આરપીએફ દ્વારા કરાયું છે.
આરપીએફની આ કામગીરીને બિરદાવવામાં આવી
પારીવારીક મુદ્દાઓને લઇને, વધુ સારા જીવન અને ગ્લેમરની શોધમાં જાણ્યે-અજાણ્યે પોતાના પરિવારના સભ્યોને જણાવ્યા વગર ઘર છોડીને આ બાળકો ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. ‘ઓપરેશન નન્હે ફરિસ્તે’ અંતર્ગત પ્લેટફોર્મ, ટ્રેન કે રેલવે પરિસરમાં આરપીએફ દ્વારા એવા બાળકોને શોધી કઢાયા હતા જેઓ ઘર છોડીને ભાગ્યા હોય.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રકાશ બુટાની દ્વારા આરપીએફને તેમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
‘ઓપરેશન નન્હે ફરિસ્તે ‘
બાળકોની સમસ્યા સમજી,તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવી આપવાની સામાજિક જવાબદારી નિભાવાતા અનેક કુટુંબોમાં ફરીથી આનંદ, ઉલ્લાસ અને હાશકારાની લાગણી જોવા મળી રહી છે.ગત વર્ષ 2021 દરમિયાન આવા કુલ 600 બાળકોને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી અપાયો હતો. બાળકોના મા-બાપ અને પરિવારજનોએ પણ આરપીએફની આ કામગીરી બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.







