ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી 2675ના મૃત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી 825 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પાંચ મહિનામાં 68 હજારથી વધુ વ્યક્તિ ટીબીનો ભોગ બન્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીથી લોકો વધુ ગભરાઈ ગયાં છે. પરંતુ ટીબીનો રોગ કોરોના કરતાં પણ વધુ જીવલેણ અને ઘાતક પુરવાર થયો છે.
2022 સુધી ગુજરાતમાં 6.47 લાખથી વધુ લોકોને ટીબી થયો
ગુજરાતમાંથી જાન્યુઆરીથી મે મહિના દરમિયાન 68718 લોકો ટીબીનો ભોગ બન્યા છે. આ સ્થિતિએ ટીબીથી મૃત્યુદર ચાર ટકાથી પણ વધારે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 13 હજારથી વધુ લોકો ટીબી થતા હોવાનું સામે આવ્યું છે.પાંચ મહિનામાં દેશના જે રાજ્યમાં ટીબીથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 6896 સાથે મોખરે, મહારાષ્ટ્ર 2845 સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે.
ટીબીથી મૃત્યુદર 202૦માં 3.9 ટકા હતો
લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 2020માં 18.05 લાખ જ્યારે 2021માં 21.35 લાખને ટીબી થયો હતો. એક્ટિવ કેસ શોધવા માટે લેવામાં આવી રહેલા પગલાં, આયુષમાન ભારત હેલ્થથી સેવા પૂરી પાડવાના કારણે કેસમાં વધારો નોંધાયો છે. વર્ષ 2020માં ટીબીથી 89823, વર્ષ 2021માં 76002ના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, ટીબીથી મૃત્યુદર 202૦માં 3.9 ટકા હતો અને તે 2021માં વધીને 4.3 ટકા થયો છે.