ઈસરોએ શનિવારે ગગનયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પરીક્ષણના સફળ સમાપનની ઘોષણા કરી હતી. આ નવી ટેકનોલોજીના માધ્યમથી અંતરીક્ષનો પ્રવાસ કરનાર અવકાશયાત્રીઓની સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સરળતા રહેશે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર અને ડીઆરડીઓના સહયોગથી તેનું પરીક્ષણ કરાયું હતું. આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય પેરાશુટ શામેલ છે, જે સેફ લેન્ડિંગ માટે ડિસેન્ડિગ ક્રુ મોડલની સ્પીડ ધીમી કરવામાં મદદરૂપ થશે.તેમાં મુખ્ય ત્રણ પેરાશુટની સાથે ત્રણ નાના એસીએસ, પાયલટ અને ડોગ પેરાશુટ પણ લગાવવામાં આવશે. આ પરીક્ષણ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોએ પેરાશુટના લેન્ડિંગના ડેટાની નોંધ કરી હતી. આ ટેસ્ટ ઈસરો, ડીઆરડીઓ, એરફોર્સ અને ભારતીય સેનાની મદદથી કરવામાં આવ્યો હતો.

આ પરીક્ષણ દરમિયાન પેરાશુટની મદદથી પાંચ ટનના ડમીને જમીન પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ ટેસ્ટ માટે ભારતીય વાયુસેનાના આઈએલ-૭૬ એરક્રાફટની મદદ લેવામાં આવી હતી.પેરાશુટને ૨.૫ કિલોમીટર ઉપરથી નીચે છોડવામાં આવ્યું હતું. આ ટેસ્ટ દરમિયાન બે નાના પાઈરો બેસ્ડ મોર્ટાર પાયલટ પેરાશુટ છોડવામાં આવ્યા હતાં, જે સાત સેકન્ડ બાદ ખુલી ગયા હતા. આ પરીક્ષણ ૨-૩ મિનીટમાં પૂર્ણ થયું હતું.