- ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 17માંથી 16 મંત્રી કરોડપતિ, એકમાત્ર સૌથી ઓછી મિલક્ત ધરાવતાં મંત્રી બચુ ખાબડ
નવા ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની 12મી ડિસેમ્બરને સોમવારના રોજ શપથવિધિ થઇ ગઇ છે. આ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં 17 સદસ્યો છે. આ મંત્રીમંડળે નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લઇને કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે આ મંત્રીમંડળમાં મંત્રી પદે રહેલા ધારાસભ્યોના એફિડેવિટમાંથી કરાયેલ એનાલિસિસ એડીઆર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 17 જણાના મંત્રીમંડળમાંથી 16 મંત્રીઓ કરોડપતિ છે. જયારે બાકી રહેલાં એકમાત્ર મંત્રી બચુભાઇ ખાબડ સૌથી ઓછી એટલે કે રૂ 92.85 લાખની મિલકત ધરાવે છે. તે સાથે 4 મંત્રીઓ સામે ગુના નોંધાયેલાં છે. તેમાંથી એક માત્ર પુરુષોત્તમ સોંલકી સામે ગંભીર પ્રકારનો ગુના નોંધાયેલો હોવાનું એડીઆર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત ઇલેકશન વોચના કો-ઓર્ડીનેટર પંક્તિ જોગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ- નેશનલ ઇલેકશન વોચ દ્વારા ગુજરાત સરકારના મંત્રીમંડળના મંત્રીઓના એફિડેવિટમાંથી તૈયાર કરેલા રિપોર્ટ જાહેર કરતાં જણાવ્યું છે કે, 17 મંત્રીઓમાંથી 4 (24 ટકા) મંત્રીઓ સામે ગુના દાખલ છે તેવું તેમના સોંગદનામામાં તેમણે જણાવ્યું છે. જેમાં હર્ષ સંઘવી, પરસોત્તમ સોંલકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે. આ ચાર પૈકી પુરષોત્તમ સોંલકી સામે ઇપીકો કલમ 420, 467, 477 મુજબ ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે. જયારે જૂના મંત્રીમંડળમાં 7 મંત્રીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવતાં હતા. તેમાંથી 3 જણાં સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ હતા. 17 મંત્રીઓમાંથી 16 મંત્રીઓ કરોડપતિ છે. તેમની સરેરાશ મિલકત 32.70 કરોડ છે. ગત મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની સરેરાશ મિલક્ત 3.96 કરોડ હતી. સૌથી વધુ મિલ્કત ધરાવતાં મંત્રીમાં બળવંતસિંહ રાજપૂત (સિધ્ધપુર)ની 372.65 કરોડ છે. જયારે સૌથી ઓછી મિલ્કત ધરાવતાં મંત્રી બચુ મગનભાઇ ખાબડ (દેવગઢ બારિયા)ના છે. તેમની મિલ્કત 92.95 લાખ છે. આ મંત્રીઓમાંથી 14 જણાં પર દેવુંછે. જેમાં પણ સૌથી વધુ દેવું ધરાવનારા મંત્રીમાં પણ બળવંતસિંહ રાજપૂતનુ નામ મોખરે આવે છે. તેમને 12.59 કરોડની દેવું દર્શાવ્યું છે
પંકિત જોગે મંત્રીમંડળના સભ્યોની શૈક્ષણિક વિગતો અંગે જણાવ્યું છે કે, 17માંથી 6 (35 ટકા) મંત્રીઓ ધો.8થી 12 સુધીનુ શિક્ષણ મેળવ્યું છે. જયારે 8 (47 ટકા) મંત્રીઓ ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ શિક્ષણ ધરાવે છે અને 3 (18 ટકા) મંત્રીઓ ડિપ્લોમા હોલ્ડર છે. તો 17માંથી ત્રણ (18 ટકા) મંત્રીઓની ઉઁમર 31થી 50 વચ્ચેની છે. જયારે 14 (82 ટકા) મંત્રીઓ 51થી 80 વયની વચ્ચેના છે. આ 17 સદસ્યોના મંત્રીમંડળમાં એક મહિલા મંત્રી છે. એમ જણાવાયુ છે