રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મંત્રીમંડળના દ્વાર પ્રજાજનોની રજુઆતો સાંભળવા માટે દર સોમવારે ખુલ્લા રહેશે.રાજ્યમાં દર સોમવારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ખાતેના મંત્રીઓના કાર્યલાય ખાતે સવારે 10:30 વાગ્યાથી નાગરિકોની રજુઆતો સાંભળીને ન્યાય આપવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.જ્યારે દર મંગળવારના રોજ સવારે 10:30 થી 12:30 કલાક સુધી સાસંદસભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ સાથે સ્થાનિક રજુઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.
તદ્ઉપરાંત દર મંગળવારે બપોરે 2:30 વાગ્યેથી ધારાસભ્યો, સાસંદો અને પદાધિકારીઓ પોતાના મતવિસ્તારના સ્થાનિક પ્રજાજનો સાથે રજુઆતો સંબંધિત ચર્ચા કરશે.મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રજાને પોતાની રજુઆતોમાં કોઇ અગવડતા ન પડે અને સમસ્યાનું યોગ્ય નિવારણ થશે જ તેવો વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કલેક્ટર તંત્રમાં પ્રભાવક રીતે ઊભી થવી જોઇએ.એટલું જ નહિ, જિલ્લા કલેક્ટરો ગામોની મુલાકાત લઇ લોકસંપર્ક કેળવે તેવી હિમાયત તેમણે કરી હતી.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વાગત કાર્યક્રમમાં ડિસેમ્બર મહિના દરમ્યાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત મળીને કુલ ર961 જેટલી વિવિધ રજુઆતો મળી છે તેમાંથી 2546 જેટલી રજુઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.