Published by : Anu Shukla
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સીંગલા ગામ પાસે કૉઝવે બનાવવામાં આવ્યો હતો.જે માત્ર એકજ મહિનામાં તુટી ગયો હતો. કોઝવે પરથી ઍક પણ વાહન પસાર થયું ન હતું..
વાલિયા તાલુકાના સિંગલાથી ચોટલીયા જવાના રસ્તે કીમ નદી ઉપર છ મહિના પહેલા 25 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલો કોઝવે પહેલા જ વરસાદમાં તુટી પડયો છે. વાહનો તથા લોકોની અવરજવર માટે બનાવાયેલાં કોઝવે ઉપરથી એક પણ વાહન પસાર થયું ન હોવા છતાં તે તુટી જતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થવા વ્યાજબી છે.
ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો વાલીયા તાલુકામાં જોવા મળી રહ્યો છે અને નાગરિકોના ટેક્સના નાણા તેમજ સરકારની તિજોરીને ખાલી કરવામાં ભાગ ભજવી રહ્યા હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. સીનાડા કિમ નદી ઉપર કોઝવે કમ ચેકડેમ બનાવતા પહેલા ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવતા ગ્રામજનોએ આ જગ્યાએ નહીં બનાવવા જણાવેલ તેમ છતાં પણ અધિકારીઓએ આ સ્થળે કોઝવે બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી.
અધિકારીઓ અને ઇજનેરોની ગંભીર ભુલ અને બેદરકારીના કારણે એક પણ વાહન પસાર થયું ન હોવા છતાં આ કોઝવે તુટી ગયો છે. રસ્તાની બાજુમાં એક સાઈડે બનાવી દીધો હતો. પુલના ધોવાણ સાથે દલસુખ વસાવાનું ખેતર પણ ધોવાઈ ગયું હતું. કોઝવેને લીધે તેને પણ નુકસાન થયું તેનું વળતર પણ આપવામાં આવ્યું નથી. વાલીયા તાલુકામાં અંતરીયાળ ગામડાઓ હોવાથી અધિકારીઓ અને હોદ્દેદારો એવી જગ્યા પસંદ કરે કે જ્યાં લોકોને ધ્યાનમાં પણ ન આવે અને ત્યાં જ ગેરરીતિઓ આચરી કૌભાંડો કરી રહ્યા છે અરબો રૂપિયાની ગ્રાન્ટ આવ્યા પછી પણ વિકાસ દેખાતો નથી .
જોકે ઇજનેર મહેશ મહેતાએ જણાવ્યુ હતુ કે ચેકડેમ કમ કોઝવે તૂટી પડ્યો હોવાનું મારા ધ્યાન પર નથી. સ્ટ્રક્ચર સિવાય બાજુમાં લુઝ માટી હોય તે ધોવાય હશે બાકી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નથી. તેમ છતા જોવડાવી લેવું પડશે. જૉકે સ્થાનિક રહેવાસી પરેશ વસાવાએ જણાવ્યુ હતું કે કીમ નદી ઉપર ચેકડેમ કમ કોઝવે બનાવવા અધિકારીઓએ જ્યારે સર્વે કરાવ્યો ત્યારે જ ગામ લોકોએ આ સ્થળે કોઝવે બાંધવા અંગે ના પાડી દીધી હતી.માત્રને માત્ર ખોટી રીતે નાણાં કમાવા માટે જ આ ચેકડેમ કમ કોઝવે બનાવેલો હતો આ બાબતની વિજિલન્સની તપાસ થવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતનાં સિંચાઇ ખાતાના ચેરમેન રંજન ગોહિલે જણાવ્યુ હતું કે કોઇ પણ પ્રકારની ગેરરીતિ ચલાવાશે નહિ અને તપાસ કરીને આ અંગે જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.