સમગ્ર દેશમાંથી માં અંબાજીના દર્શન કરવા મોટી સંખ્યામા ભકતો આવતા હોય છે. તેમનાં માટે આનંદદાયક સમાચાર એ છે કે હવે ગબ્બર ચઢવો આસાન થઈ જશે.
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં અંબાનાં દર્શન કરવા આવતા યાત્રિકોની બે કિમી દૂર ગબ્બર પર્વત ઉપર અખંડ જ્યોતનાં દર્શન માટે પણ ભીડ જામતી હોય છે. ત્યારે સરકારે ગબ્બરની કાયાપલટ કરવાના ભાગરૂપે હવે ગબ્બર પર્વતનાં પગથિયાં નવા બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ રૂ.15 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેમાં ચઢવાના 1200 અને ઉતરવાના 600 મળી કુલ 1800 પગથિયાં નવાં બનાવવામાં આવશે.
આ પગથિયાંની પેરેલલ સ્ટ્રીટલાઈટ, ચડતી અને ઉતરતી વખતે બંને જગ્યાએ ટોયલેટ બ્લોક, વિસામો અને પીવાના પાણીની પરબ સહિતની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ઉનાળામાં પગથિયાં ગરમ ન થાય તેની વિશેષ તકેદારી રાખી ધ્રોલ અને પોરબંદર સહિતના વિસ્તારમાંથી નીકળતા સેન્ડસ્ટોન પથ્થરનાં પગથિયાં બનાવવામાં આવશે.
ગબ્બર પર્વતનાં પગથિયાં નવા બનાવવાનો નિર્ણય
આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ઇજનેર ગિરીશ પટેલે જણાવ્યું કે, ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ પ્રવાસન નિગમને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પ્રવાસન નિગમ પ્રોજેક્ટ પૂર્ણ કરશે. શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પગથિયાં એક સરખાં રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ સરળતાથી ગબ્બર પર્વત ચડી શકે તે પ્રકારની તકેદારી રખાશે. ગાંધીનગર પ્રવાસન વિભાગના ઇજનેર કેયુર ભાઈ શાહે જણાવ્યું કે, હાલમાં સમગ્ર પ્રોજેક્ટ ટેન્ડરિંગ હેઠળ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ શરૂ થશે અને વર્ષ 2023માં પૂર્ણ કરવાનો અંદાજ છે.
હાલમાં પગથિયાં ચડતાં ચડતાં હાંફી જવાય છે
જે ચડે ગબ્બર તે કહેવાય બબ્બર… આ કહેવત આજે પણ ગામે ગામ પ્રચલિત છે. કારણ કે, ગબ્બર પર્વત ચઢવો સહેલો નથી. 999 પગથિયાં ધરાવતા પર્વતના કેટલાક પગથિયાં સવાથી દોઢ ફૂટ જેટલાં ઊંચાં છે, જેના લીધે શ્રદ્ધાળુ ઠેઠ ઉપર પહોંચતાં પહોંચતાં હાંફી જાય છે. ત્યારે હવે જે નવાં પગથિયાં બનશે, તેમાં પગથિયાંની સંખ્યા વધારીને તમામ પગથિયાં એવા બનાવવામાં આવશે જેનાથી કોઈને ચઢવામાં તકલીફ ન પડે.