Published by : Rana Kajal
હાલ કેટલાક રાજ્યોમાં ધર્માંતરણને લઇને હોબાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે દરેક પ્રકારના ધર્માંતરણને ગેરકાયદે ના કહી શકાય. મધ્ય પ્રદેશ સરકારે લગ્ન માટે ધર્માંતરણ પહેલા મંજૂરી નહીં લેનારા સામે કાર્યવાહીના આદેશને હાઇકોર્ટે ફગાવી દીધો હતો. જેને પગલે મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે દરેક પ્રકારના ધર્માંતરણને ગેરકાયદે ના કહી શકાય.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ અને ન્યાયાધીશ સી.ટી. રવિકુમારની બેંચે મધ્ય પ્રદેશના લગ્ન માટે ધર્માંતરણના વિવાદને લઇને નોટિસ જારી કરી છે અને હવે આગામી સુનાવણી સાત જાન્યુઆરીએ હાથ ધરવાનું નક્કી કર્યું છે. તે પહેલા સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ માગણી કરી હતી કે હાઇકોર્ટે સરકારના નિર્ણયને ફગાવી દીધો છે. હાઇકોર્ટના આ આદેશ ઉપર રોક લગાવવામાં આવે. સરકારે નિયમ બનાવ્યો છે કે લગ્ન માટે ધર્માંતરણ કરવામાં આવે તો તેની જાણકારી જિલ્લા અધિકારીને કરવાની રહેશે જો એવુ ના કરવામાં આવે તો કાર્યવાહી કરાશે. આ આદેશને હાઇકોર્ટે અટકાવી દીધો છે. માટે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ અટકાવે. જોકે સુપ્રીમ કોર્ટે કોઇ પણ પ્રકારનો આદેશ આપવાની ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે દરેક પ્રકારના ધર્માંતરણને ગેરકાયદે ના કહી શકાય.