Published by : Anu Shukla
તમાલપત્રથી ટેસ્ટમાં અનેક ગણો ફેરફાર જોવા મળે છે. ખાવામાં હોય કે ચામાં, તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં તમાલપત્રનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક બને છે. તેના સ્વાદ અને સુગંધની સાથે તેનું પાણી વાળને પણ મજબૂત બનાવે છે.
તમાલપત્ર એ એક એવી ઔષધી છે, જે મગજને તેજ રાખે છે
આયુર્વેદમાં તમાલપત્રને ઔષધીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આયુર્વેદાચાર્ય પં. અભિષેક ઉપાધ્યાય કહે છે કે, તમાલપત્રથી પાચનમાં પણ મદદ થાય છે, મનને તેજ બનાવે છે, પેશાબ સાફ કરે છે, પેટ માટે સ્વાસ્થ્યવર્ધક છે. તમાલપત્રમાં બળતરાવિરોધી, એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે, જેને કારણે એને ઔષધી માનવામાં આવે છે. એ ભારતીય ભોજનનો અભિન્ન ભાગ છે.
તમાલપત્રમાં અનેક પોષક તત્ત્વો હોય છે
જો પોષક તત્ત્વો વિશે વાત કરવામાં આવે તો, તમાલપત્રમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન જેવાં પોષક તત્ત્વો હોય છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે કોઈપણ સામાન્ય મસાલા કરતાં વધુ ફાયદાકારક છે. તમાલપત્રની તાસીર ગરમ હોય છે. તમાલપત્રને પીસીને મધ અને પીપળી સાથે ચાટવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે.
દાંતના દુખાવામાં પણ ફાયદાકારક
તમાલપત્રના પાઉડરથી બ્રશ કરવાથી દાંતમાં ચમક આવે છે. આ સાથે પેઢાના ઘા પણ મટી જાય છે. પેઢાંમાંથી લોહી નીકળે અથવા તો ફૂલી જાય છે ત્યારે તમાલપત્રનો પાઉડર ફાયદાકારક છે.
ડાયાબિટીસની બીમારીને દૂર કરે
આજકાલ બજારમાં તમાલપત્રની કેપ્સ્યુલ પણ ઉપલબ્ધ છે. આ કેપ્સ્યૂલ ઇન્સ્યુલિનનું લેવલ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ રામબાણ ઈલાજ છે. જો તમે કેપ્સ્યુલ્સ લેવા માગતા ન હોવ તો તમે તમાલપત્રના લીલા પાંદડાને ચામાં ઉમેરીને અથવા ઉકાળો બનાવીને પણ પી શકો છો. જો લીલા પાંદડા ન મળે તો, સૂકા પાંદડા પણ લઈ શકાય છે.
તમાલપત્રના પાણીથી વાળ મજબૂત થાય છે
તમાલપત્રના પાણીથી વાળ ધોવાથી વાળ મૂળ સુધી સાફ થાય છે. જેના કારણે જૂ અને ડેન્ડ્રફ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે અને વાળ મજબૂત બને છે. વાળને અઠવાડિયામાં બે વાર તમાલપત્રના પાનના પાણીથી ધોઈ શકાય છે.