Published by : Anu Shukla
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવનાર દેશ-વિદેશના મહેમાનોને જુવાર, બાજરી, કોદરી જેવા રાજ્યના પરંપરાગત દેશી ધાનમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવશે.
દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો હેતુ
ગુજરાતના દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે એ માટે U-20ના મહેમાનોને દેશી ધાનની વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ પરંપરાગત દેશી ધાનને પ્રોત્સાહન આપી ચૂક્યાં છે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે.
આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.
અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે.
આ બેઠકમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા કવચ, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો લેવાશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે.