Published by : Anu Shukla
- શુક્રવારથી સમગ્ર રાજયમાં દસ્તાવેજ નહીં કરવા બિલ્ડરોનો નિર્ણય…..
ગુજરાત સરકારે જાહેર કરેલ જંત્રીના વિરોધની શરુઆત થઈ ચૂકી છે. હવે બિલ્ડરો મેદાનમાં આવ્યા છે.બિલ્ડરોએ શુક્રવારથી સમગ્ર રાજયમાં દસ્તાવેજ ન કરવાનો નિર્ણય લઈ જંત્રીના વિરોધની શરુઆત કરી છે.
રાજ્ય સરકારને ગતવર્ષે સ્ટેમ્પ ડયૂટીની અંદાજે નવ હજાર કરોડ આવક થઇ છે, હવે જંત્રી ડબલ થયા બાદ 18 હજાર કરોડની આવક સરકારને થશે. તેવું ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલ (નારેડકો)ના સભ્યો અને ગ્રાહકો વચ્ચે મંગળવારની બેઠકમાં ઉપસ્થિત બિલ્ડરોએ જણાવતા કહ્યું કે, જંત્રી વધની સીધી અસરથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોટાપાયે મંદી આવશે. એફોર્ડેબલ હાઉસિંગ બનતા અટકશે. જેથી જંત્રીનો અમલ 90 દિવસ પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવે કરીને થવો જોઇએ અને જંત્રી વધે તો પરચેઝ એફએસઆઇમાં 50 ટકા રાહત મળવી જોઇએ.
નારેડકોના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે કહ્યું કે, ગત વર્ષે રાજ્યમાં પરચેઝ એફએસઆઇની 3 હજાર કરોડ આવક સરકારને થઇ હતી. ચાલુ વર્ષે છ હજાર કરોડ થશે ઉપરાંત 18 ટકા જીએસટી અને અન્ય નાની મોટી આવક મળી ડબલથી પણ વધુ આવક સરકારી તિજોરીની થશે. પરંતુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકી જશે. તમામ પ્રોજેક્ટમાં રિવાઇઝ ઓફર કરવી પડશે. જ્યારે ચેરમેન એન.કે.પટેલે કહ્યું કે, ઓનલાઇન પ્લાન પાસની અરજીમાં નવી જંત્રી લેવાશે તો ડેવલપર્સની સાથે ગ્રાહકો પર આર્થિક ભારણ વધશે. એક ટકો રજિસ્ટ્રેશન ફી અથવા વધુમાં વધુ દસ હજારની મર્યાદા દાખલ કરવી જોઇએ. જેનો પ્રોપર્ટી ખરીદનારને લાભ મળે. એફોર્ડેબલ હાઉસિંગની મર્યાદા 45 લાખની છે પરંતુ જંત્રી વધવાના લીધે હવે આ કિંમત વધી જાય છે. કેપિટલ ગેઇન ટેક્સ પર અસર પડશે. એફોર્ડેબલ હાઉસિંગ પર સૌથી વધુ અસર થશે.
બેઠકમાં સામેલ ડેવલપર્સ, કન્સલ્ટન્ટ, બ્રોકર, આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર સહિતના આગેવાનોએ શુક્રવારથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ નહીં કરી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિની રજામાં નિર્ણય લેવાય નહીં તો સોમવારે ફરી બેઠક બોલાવીને આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જંત્રીના ડબલ દરથી એફોર્ડેબલ હાઉસિંગ પર સૌથી વધુ અસર થશે. સાથેજ બાંધકામ સાથે સંકળાયેલી રેતી, ઈંટ, સ્ટીલ સહિત 266 ઈન્ડસ્ટ્રીઝને અસર રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે જુદી જુદી 266 ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે. જેમાં રોજગારી દૂર થઇ જશે. કર્મચારીઓને છૂટા કરવા પડશે. મોટપાયે મંદી સર્જાશે. આ સિવાય નાની-મોટી એજન્સી કામ વિહોણી થઇ જશે.
જૂની શરતમાંથી નવી શરતની જમીનના પ્રિમિયમની રકમ 2 કરોડની 4 કરોડ થઇ જશે તો કેટલાય સોદા રદ થશે. ખેડૂતોને પણ નુકસાન થશે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જૂના સભ્યો પાસેથી રૂપિયા 500થી 1000 સુધીની સ્ટેમ્પ ડયૂટી વસૂલવી જોઇએ. રિસેલ મકાનમાં બાનાખત થઇ ગયા હશે તો દસ્તાવેજોને અસર થશે.