Published by : Anu Shukla
- ડેરીના શાંતિ યજ્ઞમાં જો મારી આહુતિથી શાંતિ સ્થપાતી હોય તો મારા માટે એ વિકલ્પ પહેલો હોય : જી.બી.સોલંકી
બરોડા ડેરીનો વિવાદ દિવસે ને દિવસે અનેક રંગો બતાવી રહ્યો છે. હજુ મંગળવારે જ વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે બરોડા ડેરી સાથે સંકળાયેલ સતીષ પટેલ ( નિશાળિયા ) ને નિયુક્તિ આપ્યા બાદ આજે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી.બી.સોલંકીએ સ્વૈચ્છીક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બરોડા ડેરીનો મામલો દિવસેને દિવસે પેચીદો બની રહ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ડેરી સામે બાંયો ચઢાવ્યા બાદ તાજેતરમાં જ પશુપાલકોને ન્યાય આપવાના મુદ્દે ધરણા પ્રદર્શન યોજ્યું હતું અને ધરણા પૂર્ણ થયા બાદ રજૂઆત કરવા પશુપાલકો બરોડા ડેરીનો ગેટ કુદીને અંદર પ્રવેશી ગયા હતા જોકે આ ઘટના બાદ સાવલીના ધારાસભ્ય એમ પણ જણાવ્યું હતું કે જો ત્વરિત નિરાકરણ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવીશું અને તેના ભાગરૂપે શનિવારના રોજ ડેસર ખાતે મહા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ તમામ વચ્ચે આજરોજ બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી.બી. સોલંકીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું ધરી દીધું હતું. તેઓ સાથે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતીશ નિશાળીયા અને પૂર્વ પ્રમુખ દીનું મામા પણ ઉપસ્થિત હતા. જી બી સોલંકી એ રાજીનામું આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બરોડા ડેરી એ વર્ષોથી શાંતિમય રીતે ચાલતી સંસ્થા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સંસ્થામાં અશાંતિ ફેલાઈ રહી છે સંસ્થામાં શાંતિ ફેલાય અને આ શાંતિ યજ્ઞમાં મારી આહુતિ અનિવાર્ય હોય તો મારા માટે કે પ્રથમ વિકલ્પ રહેશે. હું આજે કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપું છું ડેરીના ડિરેક્ટર તરીકે હું યથાવત રહીશ. મને આશા છે કે આગામી સમયમાં જે કોઈપણ નવા પ્રમુખ આવશે તેઓ સંસ્થા, પશુપાલકો અને મંડળીઓને આગળ લઈ જવાના પ્રયાસો કરશે. અમે ડિરેક્ટરો ખભે ખભા મિલાવી તેઓને સાથ સહકાર આપીશું. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે રાજીનામું આપવા પાછળ મને કોઈનું દાબ દબાણ નથી ન તો પક્ષનું દબાણ છે ના પશુપાલકો કે મંડળીઓનું કે ના તો ડિરેક્ટરોનું. ધારાસભ્યના આંદોલનનું પણ મારા પર દબાણ નથી, હું સ્વૈચ્છિક રીતે આ રાજીનામું આપી રહ્યો છું અને સંસ્થા સતત આગળ વધતી રહે તે માટેના મારા પ્રયાસો છે. તેઓએ આંદોલન કરી રહેલ ધારાસભ્યોને એમ પણ સલાહ આપી હતી કે ધરણા, આંદોલનો શક્તિ વેડફવા કરતા બરોડા ડેરીને આગળ લઇ જવામાં યોગદાન આપે તો સંસ્થાનું હિત ગણાશે.