Published by : Vanshika Gor
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર પોતાની રાય આપતી રહે છે. હાલમાં જ કંગના રનૌતે પંજાબની ઘટનાને લઇને ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં તે ખાલિસ્તાનને ન માનનાર શીખોને એક સલાહ આપતી જોવા મળી રહી છે.
હાલમાં પંજાબમાં હાલાત બગડી રહ્યા છે. ગુરુવારના રોજ પંજાબના અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. એટલું જ નહીં શુક્રવારે અમૃતપાલે ખુલ્લેઆમ ખાલિસ્તાનની માગ પણ રાખી દીધી હતી.
હવે આ મામલે અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પોતાની રાય આપતા લખ્યું હતું કે, ‘પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઇને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.
અભિનેત્રી કંગના રનૌતે બે વર્ષ પહેલા કિસાન બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની કહ્યા હતા. આ વાત પર ઘણો વિવાદ થયો હતો. પંજાબમાં કંગનાની કાર ખેડૂતો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઇને કંગનાએ ઇનસ્ટાગ્રામ પર કહ્યું હતું કે, ‘પંજાબમાં એન્ટ્રી લેતા જ તેની કારને ઘેરી લેવામાં આવી હતી.’ હવે અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાને લઇને તેને આ વાત કહી છે.