- રાજપીપળાના મા હરસિદ્ધિનો આજે પ્રાગટ્ય દિવસ છે. આજે મા હરસિધ્ધિના વિશેષ શણગાર સાથે અનેક વિધિ કરવામાં આવી હતી.
- માતાજી 422 વર્ષ પહેલા રાજપીપળા આવ્યા હતા.
રાજપીપળામાં બિરાજમાન મા હરસિદ્ધિ 422 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્યના વંશજ અને રાજપીપળાના રાજા વેરીસાલજી મહારાજની સાથે રાજપીપળા આવ્યા હતા પરંતુ મા હરસિદ્ધિ નું પ્રાગટ્ય શ્રીકૃષ્ણ ભગવાને ફાગણવદ ત્રીજ અને મંગળવાર ના દિવસે કોયલા ગઢ ખાતે કર્યું હતું.
આજે અનેક કાર્યક્રમોનું આયોજન
કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના પણ તેઓ કુળદેવી છે, સાથે જ ગોહેલ વંશજ રાજાઓ ના પણ મા હરસિધ્ધી કુળદેવી ગણાય છે. પારંપરિક રીતે નવરાત્રિમાં અહીં રાજા રજવાડા દ્વારા જ પૂજન અર્ચન કરવાની પણ પ્રથા છે ત્યારે માતાજી રાજપીપળા પધાર્યા તેને 422 વર્ષ થયા છે. પ્રથમ વખત રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં આજે મા હરસિધ્ધીના પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે જેમાં માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે અને 11 જોડા સાથે મહા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે .દૂર દૂર થી આવતા ભાવિક ભક્તો મા હરસિધ્ધીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિર સવારે 7થી રાતના 10 સુધી ખુલ્લુ
આ મંદિરનો વહીવટ રાજપીપળા મા હિન્દુ દેવ સ્થાન કમીટી દ્રારા કરવામા આવે છે જેના અધ્યક્ષ તરીકે મામલતદાર હોય છે ,અને મંદિરને હાલ પ્રવાસનધામ તરીકે પણ વિકસાવાઇ રહ્યુ છે .આસો માસ ના પ્રથમ નવ દિવસ સુધી અહીં ભવ્યાદીભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત અને ભારતભરના લાખો દર્શનાર્થીએા ભાગ લે છે .આદિવાસી વિસ્તાર એવા નર્મદા જીલ્લા માટે આ લોક મેળો ગણાય છે અને ખાસ તો આ મંદિર ની વિશેષતા એ છે કે દરેક કાર્યસિધ્ધ કરનારી મા હરસિધ્ધીનું રાજપીપલા સ્થિત મંદિર બારે માસ 365 દિવસ સવારે સાત વાગ્યે ખુલે છે અને રાત્રે 10 વાગે બંધ થાય છે . બપોરના કોઇ વિરામ સમય હોતો નથી. દુરદેશથી આવતા ભાવિકો અહીં મન મુકી ને દર્શન કરી શકે એવુ આ એક માત્ર ધાર્મિક સ્થળ છે .
ભક્તોની આસ્થા
દરેક ભકતોની આસ્થા પુરી થતી હોવાનું શ્રધ્ધાળુઓ માને છે અને પોતાની આખરી બાધાપૂર્ણ થતા અહી લોકો ચુંદરી, સાડી અને ખાસ તો મરઘા અને બકરા ચઢાવવામાં આવે છે. આજે જયારે પવિત્ર તીર્થ હોય ત્યારે મા હરસિદ્ધી ના મંદિરે આ મરઘા અને બકરાની બલી આપવામાં આવતી નથી અને જેને છુટ્ટા મૂકી બાધા પૂર્ણ કરવામાં આવે છે અને લોકો મા હરસિધ્ધિ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.




