Published by : Rana Kajal
ભણવામાં ખુબ હોંશિયાર હોય, શારીરિક ક્ષમતા પણ સારી હોય તેમ છતાં ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેતા હોવાના બનાવો બની રહ્યા છે. જે ખુબ કરુણ અને ચોંકાવનારી બાબત કહી શકાય….આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએમમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યા પાછળના કારણોમાં અભ્યાસને લઈને તણાવ પણ એક કારણ છે. આ સિવાય કૌટુંબિક અને અંગત સમસ્યાઓ તેમજ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જવાબદાર છે.
તાજેતરમાં રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ એલ હનુમંથૈયાએ આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએમ સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતાં કિસ્સાઓ પર સવાલ કર્યા હતા. તેના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષે જણાવ્યું કે વર્ષ 2023માં અત્યાર સુધીમાં IIT અને NITમાં વિદ્યાર્થીની આત્મહત્યાના છ કેસ નોંધાયા છે. વર્ષ 2022માં 16 , 2021માં 7, 2020માં 5 , 2019માં 16 અને 2018માં 11 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. સરકારે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે થોડા દિવસ પહેલા જ IIT મુંબઈમાં 18 વર્ષીય દલિત વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો ચર્ચામાં હતો. સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવને આત્મહત્યા પાછળનું કારણ માન્યું નથી. આ સાથે મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક તણાવ ઘટાડવા માટે સંસ્થાઓ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમો પણ સામેલ છે. તેમણે કહ્યું કે, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ 12 પ્રાદેશિક ભાષાઓમાં ટેકનિકલ કોર્સના પુસ્તકોનો અનુવાદ શરૂ કર્યો છે.