Published by : Vanshika Gor
- અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાંથી બે સગી બહેનો લાપત્તા બની
- પિતાની દુકાન ઉપરથી ઘરે કુદરતી હાજતે જવાનું કહી ગુમ થતા પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી
- GIDC પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગરમાંથી ઘરે જવાનું કહી બે સગી સગીર બહેનો લાપત્તા બનતા જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ગત વર્ષે અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકી રૂક્સાનાનું અપહરણની ઘટના સામે આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુમ રૂક્સાનાનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. રૂકસાના મિસિંગ કેસમાં ભરૂચ જીલ્લા પોલીસ અને સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ જાતે અંગત રસ લઈ રૂકસાના મિસિંગ કેસમાં તમામ સ્તરે જિલ્લા પોલીસ બળ લગાવી તપાસ ચલાવી હતી.

જોકે અપહરણ થયેલ બાળકીનો હજી પણ કોઈપણ જાતનો પત્તો લાગ્યો નથી. ત્યારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્ષમાં રહેતા અને લક્ષ્મણ નગરમાં ચીકન શોપ ચલાવતા મોહમદ રાજુખાન મોહમંદ સદિકખાનની 2 સગી પુત્રી 14 વર્ષીય તોફાખાતુન અને 13 વર્ષીય રહમતીખાતુન 23મી માર્ચના રોજ પોતાની દુકાન ઉપર હતી. દરમિયાન રાતે 9 કલાકે મોટી પુત્રી તોફાખાતુન કુદરતી હાજતે જવા માટે પોતાની બહેન રહમતીખાતુન સાથે ઘરે જવા નીકળી હતી.
મોડી રાત સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. જે બાદ લાપત્તા બનેલ બંને સગીરા મળી નહિ આવતા પિતા મોહમદ રાજુખાન મોહમંદ સદિકખાનને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બંને પુત્રીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પરપ્રાંતીય વિસ્તારમાંથી સતત બાળકીઓ લાપત્તા બનવાના કિસ્સા વધતા ચિંતાનો વિષય બન્યો છે.