Published by : Vanshika Gor
હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.
મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે.
હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

સાળંગપુર હનુમાન મંદિર નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે. અહીં ભૂત-પ્રેત જેવી બાધાઓથી પીડિત વ્યક્તિને તેના પરિજનો લાવે છે, શ્રદ્ધાળાઓના જણાવ્યાનુસાર આવા લોકો જ્યારે હનુમાનજીની મૂર્તિ સામે આવે છે અને તેમની આંખમાં જુએ છે તે ક્ષણથી જ તેઓ ખરાબ શક્તિઓથી મુક્ત થઈ જાય છે.
આ મંદિરમાં શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે. જો કે અહીં માનસિક રીતે વિચલિત લોકોની સમસ્યા પણ દૂર કરવામાં આવે છે. આ લોકોને મૂર્તિ સામે ઊભા રાખી અને તેમને એક દંડનો સ્પર્શ કરાવવામાં આવે છે. આ દંડનો ઉપયોગ સ્વામી ગોપાલાનંદે મૂર્તિ સ્થાપના વખતે કર્યો હતો. જાણકારોના મતાનુસાર દંડના સ્પર્શથી મૂર્તિમાં પ્રાણ પુરાયા હતા. આ દંડને ચમત્કારી માનવામાં આવે છે