Published by : Vanshika Gor
રાજ્યભરમાં આજથી નવી જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે. નવી જંત્રીમાં રહેણાક મકાનો માટે જંત્રીનો દર હવે 1.8 ગણો વસૂલવામાં આવશે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસના દસ્તાવેજો માટે જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે.
નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. સરકારે ગત 4 ફેબ્રુઆરીએ જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. હવે સરકારે જુદા જુદા બાંધકામ અને જમીન માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. રાહતની વાત એ છે કે એફોર્ડેબલ ઘર મોંઘા નહીં થાય. જોકે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમતમાં 10થી 20 ટકાનો વધારો થઇ શકે છે. 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો થયો છે.