Published By : Disha PJB
ગરમીના કારણે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રોજની સરેરાશ 3 આગની ઘટનાઓ નોંધાઈ રહી છે ત્યારે આજે વડોદરામાં બે સ્થળોએ આગ લાગી હતી. જેમાં અલકાપુરી વિસ્તારમાં લાગેલી આગની ઘટના 40 કર્મચારીઓના જીવ અદ્ધર કરી દીધા હતા.
વડોદરા શહેરના અલકાપુરીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આગની ઘટના ઘટી હતી. ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલ ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી હતી.
આગ લાગી ત્યારે 40 કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા. સર્વરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. ફાઇનાન્સ મંડલમમાં લાગેલી આગથી ડેટા નાશ થઈ ગયો હોવાની શંકા કર્મચારીઓને છે. ઘટનાની જાણ તરત ફાયર વિભાગમાં કરાતા ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પોહચી હતી અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને સમય સૂચકતાથી તમામને બહાર કાઢી લેવામાં આવ્યા.
આવી જ બીજી એક ઘટના નંદેસરીમાં આવેલ 66 kv જેટકોના કંટ્રોલ રૂમમાં બની હતી. કંટ્રોલ રૂમમાં બે કર્મચારીઓ કામ પર હાજર હતા. આગ લાગવાની જાણ નંદેસરી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયારના બે ટેન્ડરો ઘટના સ્થળે પોહચી ગયા હતા.
ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો બોલાવ્યા બાદ ઘણા કલાકોની મહેનત બાદ ફાયરના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કંટ્રોલ રૂમમાં આગ લાગવાને કારણે નંદેસરી વિસ્તારની ઔદ્યોગિક વસાહતનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આગમાં કોઈને જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગની બંને ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા તંત્રએ પણ હાંશકરો અનુભવ્યો હતો.
ઇનપુટ : દિગ્વિજય પાઠક.