- મુલદ ચોકડીથી ઝઘડિયા જતો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી મહિલાઓ અને લોકો વિફર્યા
- માર્ગ દુરસ્ત કરો અને ઊડતી ધૂળથી છૂટકારો અપાવવા પાણી છંટકાવની માંગ
- ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવતા રસ્તો ખુલ્લો કરાયો, ગ્રામજનો મામલતદારને આવેદન આપશે
ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે.તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહિ કરાતા આજે મંગળવારે સવારે કેવડિયા SOU જવાના માર્ગ ઉપર નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા.
મુલદ ચોકડીથી ઝઘડિયા રાજપીપળા જતા માર્ગને ગોવાલી ગામ પાસે વાહનો અટકાવી દેવાયા હતા. સવારે 9 કલાકે મહિલાઓ સહિત લોકોએ બિસ્માર માર્ગ અને ઊડતી ધૂળને લઈ રસ્તા રોકો આંદોલન કરતા જોત જોતામાં બન્ને તરફ વાહનોની કતારો 3 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. એક કલાક સુધી વાહનો અટકાવી રાખ્યા બાદ પોલીસે દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી લોકોને રસ્તા પરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. ગ્રામજનો ખરાબ રસ્તા મુદ્દે ઝઘડિયા મામલતદારને હવે આવેદનપત્ર આપવાના છે.