Published By : Disha PJB
નોકરી અપાવવાના બહાને ફુલેકુ ફેરવનાર ઠગબાજો ફાટી નીકળ્યા છે. અને નોકરીવાંચ્છુ બેરોજગારો પણ નાણાં આપી સારી જગ્યાએ નોકરી મેળવવાની લાલચે છેતરાય છે. અમદાવાદની યુવતી સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાની MS યુનિ.માં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી દ્વારા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીને એકઝામ સુપરવાઈઝની પોસ્ટ અપાવવાની લાલચ આપી તેની પાસે નાણાં પડાવ્યા હતા. જેને લઈ યુવતી દ્વારા અમદાવાદમાં અરજી આપવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટના વડોદરાની હોવાથી ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેને આધારે તપાસ કરતા માત્ર યુવતી જ નહિ આ પોસ્ટ માટે અનેક લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
પત્રકાર પરિષદમાં ACP ચાવડાએ જણાવ્યું કે અમદાવાદની યુવતી કિંજલ પટેલે ફરિયાદ આપી છે. આ ફરિયાદ કિંજલ પટેલે અમદાવાદ શહેરમાં અરજી સ્વરૂપે આપી હતી જેમાં જણાવ્યું હતું કે તેણીએ ભેજાબાજ શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનીષ કટારાને મળીને 11 લાખ રૂપિયા એકઝામ સુપરવાઈઝરની પોસ્ટ અપાવવા માટે આપ્યા હતા. આ અરજીની પ્રાથમિક તપાસ અમદાવાદ શહેરમાં થઈ હતી. જેમાં સમગ્ર ઘટના વડોદરાની હોવાથી અરજી અહીં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા આ અરજીની તપાસ સયાજીગંજ પોલીસને કરવા આપવામાં આપી હતી. ગઈકાલે આ અંગે ગુનો દાખલ કરાયો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/IMG-20230512-WA0012-1024x568.jpg)
ભેજાબાજોએ કિંજલ પટેલને એકઝામ સુપરવાઈઝરની પોસ્ટ માટે વડોદરા બોલાવ્યા હતા. અને આ માટે તેમણે સૌ પ્રથમ જોઈનીંગ લેટર આપી તેમનું મેડિકલ પણ કરાવ્યું હતું. એક પરિક્ષા લઈ ફાઈનલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. અને તેણી પાસેથી 11.50 લાખ જેટલી રકમ કઢવવામાં આવી હતી. આ લોકોની પરિક્ષા એમએસ યુનિવર્સિટીના રોડ પર લીધી છે. આ એક ખૂબ મોટું ષડયંત્ર છે.
ભેજાબાજોએ અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હતા. અને ઘણા લોકો પણ આ જ રીતે છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાંધીનગરના 2, અમદાવાદના 6, મહેસાણાના 5,મહિસાગરના 1 અને વલસાડના 1 એમ મળી કુલ 15 લોકો સાથે આ જ પ્રકારની એકઝામ સુપરવાઈઝર, કલાર્ક અને પટાવાળાની પોસ્ટ માટે જુદી-જુદી રકમો મળી આરોપીઓએ 1 કરોડ 67 લાખ, 50 હજારની રકમ મેળવેલી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં 2019માં ન્યૂઝ પેપરની અંદર જે તે વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર ભર્તી થશે તેનો આધાર લઈ આરોપીઓએ લોકોને છેતરવાનો કારસો ઘડી નાખ્યો હતો. 15 જેટલા લોકો તપાસમાં સામે આવ્યા છે. તે સિવાય અન્ય લોકો પણ હોઈ શકે છે. જેના અનુસંધાને આ મોટા કૌભાંડની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક.