Piblished By : Disha PJB
સુરતમાં દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જતા મોત થવાની ઘટના સામે આવી છે. બાળક ચીકુ ખાઈ લેતા તેનું બીજ શ્વાસનળીમાં ફસાઈ જતા બેભાન થઇ ગયો હતો અને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો.
શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કૈલાસનગર પાસે રહેતા 32 વર્ષીય સંતોષ નાયક જેઓ સંચાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાનો છે. જેમાં એક 7 વર્ષની પુત્રી અને બીજો દોઢ વર્ષનો બાળક ઋષિ સંતોષ નાયક જેઓ ગઈકાલે બપોરે ચીકુ ખાતા તેનું બીજ પણ ગળી ગયો હતો અને તે બીજ શ્વાસનળીમાં ફસાઈ જતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ગઈકાલે અમારે ત્યાં એક છોકરો આવ્યો હતો. જેઓ ચીકુ ખાઈ રહ્યો હતો અને તે ચીકુનું બીજ તેની શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ ગઈકાલે બપોરની ઘટના છે પરંતુ જ્યારે બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. અને બાળકનું મોત શ્વાસનળીમાં બીજ ફસાઈ જવાના કારણે થયું છે. કારણ કે શ્વાસ નળીમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો તેની નળીઓ સંકોચાઈ જાય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.