Published by : Rana Kajal
- GSRTC ને રોજના ₹1.90 લાખના ટોલ અને ₹2 લાખના ડીઝલની બચત
- NH 48 ઉપરથી ફોર વ્હિલર ગાયબ થયા બાદ હવે 1024 ST બસોનો પણ યુ ટર્ન
- ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી તરીકે વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો.
- ભરૂચ-અંકલેશ્વર ટ્વિન સિટીની બે વર્ષ બાદ સફર, મુસાફરોના પણ સમય, 10 કિમીનો ફેરાવો ઘટયા
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી તરીકે વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો, જે સ્વપ્ન હવે નર્મદા મૈયા બ્રિજ નિર્માણ થયાને 2 વર્ષ બાદ સાકાર થયું છે.
નર્મદા નદી ઉપર ફોરલેન બનેલા નવા બ્રિજે બન્ને શહેરો વચ્ચેનું અંતર, સમય ઘટાડવા સાથે ટ્વિન સિટીની તર્જ ઉપર GSRTC ની ST બસો દોડતી થઈ ગઈ છે.
ગોલ્ડનબ્રિજને સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજના નિર્માણથી ભરૂચ અને અંકલેશ્વર ટ્વીન સિટી જોડિયા શહેરોનું સ્વપ્ન 9 વર્ષે સાકાર થઈ થયું હતું. વર્ષ 2012માં ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી BAUDA ની રચના સાથે જ બન્ને શહેરને ટ્વીન સિટીની તર્જ ઉપર વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો. જેને સાકાર કરવા તરફ નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજે 2 વર્ષ પેહલા સેતુની ભૂમિકા ભજવવાની શરૂ કરી દીધી હતી.

નર્મદા મૈયા બ્રિજ પરથી 2 વર્ષના પ્રતિબંધ પછી GSRTC ની બસો પસાર થઇ રહી છે. નર્મદા મૈયા બ્રિજ પર NH 48 હાઇવેના ફોર વ્હીલ વાહનો બાદ સરકારી બસો ST ડાઈવર્ટ થઈ છે. નર્મદા મૈયા બ્રિજ હવે ભરૂચ અંકલેશ્વર શહેરને ટ્વિનસિટીમાં પરિવર્તિત કરવા માટે મહત્વનો બનવા જઈ રહ્યો છે.
સડસડાટ દોડતા વાહનો પળવારમાં તો અંકલેશ્વરને આંબી જાય છે. હાલ ST બસ સંચાલન શરુ કરાયું છે. ભરૂચ-અંકલેશ્વર રાજ્ય અને રાજ્ય બહાર જોડતી 1040 બસોની ક્નેટિવિટી ધરાવે છે. જે જોતા NH 48 ઉપરથી ST બસો પણ યુ ટર્ન લેતા ₹ 85 ટોલ ટેક્સ લેખે રોજની GSRTC ને ટોલમાં ₹ 1.90 લાખથી વધુની બચત થશે.

સાથે જ હાઇવે કેબલ બ્રિજના સ્થાને નર્મદા મૈયા બ્રિજ પરથી ST બસો પસાર થતા ઝડપી, સમયસર મુસાફરી સાથે ₹ 2.07 લાખના ડીઝલની બચત પણ થશે. મુસાફરોને પણ 10 કિમીનો ફેરાવો ઘટવા સાથે ભાડાં. અને સમયમાં રાહત મળી રહી છે.
ટ્વીન સિટીની કનેક્ટિવિટી માટે દર 15 કે 30 મિનિટે બસો દોડાવવાનું આયોજન ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકને લઈ હાથ ધરવામાં આવનાર છે. જે માટે નર્મદા ચોકડીથી ભોલાવ એસટી. ડિવિઝન, અંકલેશ્વરના ગડખોલ, પ્રતિન ચોકડી, રેલવે સ્ટેશન અને અંકલેશ્વર ST ડેપો વચ્ચે 4 પીકઅપ સ્ટેન્ડ બનાવાયા છે.