Published By:-Bhavika Sasiys
છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો અડીગો જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરના કારણે વધતા અકસ્માત સહિત ટ્રાફિક જામના બનાવોને રોકવા નગરપાલિકાએ રખડતા ઢોર ડબ્બે પુરવાની ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.

છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો અડીગો જોવા મળી રહ્યો છે. જેના કારણે અવારનવાર અકસ્માતો સહિત ટ્રાફિક જામની સમસ્યાનું સર્જન થતા આખરે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલા સમયથી પશુપાલકો દ્વારા છોડી મુકેલા ઢોરોને અંકલેશ્વર પાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોરોને પકડવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
તો બીજી તરફ, અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પણ રખડતા ઢોરોને લઈ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે વહેલી તકે રખડતા ઢોરને ડબ્બે પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.