ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો આજે અંત આવ્યો હોય તેમ લાગે છે. અનેક મિટિંગ કર્યા બાદ સરકારે કર્મચારી મહામંડળની વિવિધ 15 જેટલી માંગણી ઉકેલી હોવાની જાહેરાત કરી છે. જૂની પેન્શન સ્કીમ સરકાર દ્વારા શરૂ કરવાના મુદ્દાને ઢાલ બનાવી કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો આંદોલન કરી રહ્યાં હતાં. પરંતુ સરકારે આ જ મુદ્દો વિચારાધીન રાખ્યો છે.
સરકાર દ્વારા વિવિધ મુદ્દા અને માંગનું નિરાકરણ લાવવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ માંગનો લાભ એવા જ કર્મચારીઓને મળશે કે જે કર્મચારીઓ સોમવારથી ફરજ પર હાજર થશે. આમ, સરકારે હડતાળિયા કર્મચારીઓને આડકતરી ચીમકી આપી ફરજ પર હાજર થવા કડક સૂચના આપી છે. ગુજરાત સરકારે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારી છે. તમામને 7મા પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે. જ્યારે CPFમાં 10 ટકાને બદલે 14 ટકા ઉમેરાશે. રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે. સાતમા પગાર પંચનાં બાકી ભથ્થાં પણ ચૂકવીશું. સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો છે. આ યોજના 1-4-2005માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ 2005 પહેલાં ભરતી થયેલાને જૂની પેન્શન યોજના અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.

તેમણે કહ્યું કે, વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી 18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાંના ફિક્સ પગારની નીતિમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1 એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે. વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

સરકારે સ્વીકારેલી વિવિધ માંગો
- રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે તા.1/4/2019થી સળંગ નોકરીનો લાભ આપવો.
- મેડિકલ ભથ્થું 300ના બદલે સાતમા પગાર પંચ મુજબ 1000 કરવામાં આવશે.
- ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય 8 લાખ છે જેમાં વધારો કરી 14 લાખ આપવાનું નક્કી કરેલ છે.
- 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.
- પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40% અને પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું.
- 50%એ પાસ કરવું. ઠરાવની તારીખથી અમલ થશે.
- કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો. વ્યાજદરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમત. અંદાજિત 6 લાખ રૂપિયા જેવો ફાયદો થાય. સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-2024 સુધી લંબાવવી.