કાનપુર શહેર નગરનિગમે પિટબુલ અને રોટરવિલર પ્રજાતિના કૂતરાંઓને શહેરમાં રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેયર પ્રમિલા પાંડેએ જણાવ્યુ હતુ કે, જનતાની સુરક્ષા માટે પિટબુલ અને રોટરવિલર પ્રજાતિને હવે શહેરની સીમામાં પ્રતિબંધિત કરી દેવાયા છે. થોડા સમય પહેલાં જ સરસૈયા ઘાટ પર એક પિટબુલ કૂતરાએ એક ગાય પર હુમલો કર્યો હતો. આ સિવાય પિટબુલ કૂતરાના હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
પિટબુલે મહિલાને ફાડી ખાધી હતી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પિટબુલના હુમલાઓની ઘટનાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. એવામાં ખતરનાક કૂતરાઓને જોઈને જ લોકો તેમનો રસ્તો બદલી નાંખે છે. લખનૌમાં આધેડ ઉંમરની મહિલાને તેના જ પિટબુલ પ્રજાતિના પાલતું કૂતરાંએ ફાડી ખાધી હતી. ત્યારે ગાઝિયાબાદમાં 10 વર્ષના માસૂમ પર કૂતરાંએ એવો હુમલો કર્યો હતો કે તેના મોઢા પર 150 ટાંકા લેવા પડ્યાં હતા. આ ઉપરાંત છેલ્લા ઘણાં દિવસોથી લખનૌ શહેરમાં અલગ અલગ જગ્યાએ ખતરનાક પ્રજાતિના પાલતુ કૂતરાંઓના હુમલાઓએ કેટલાંય યુવકોને ઘાયલ કર્યા છે.
