Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • ૧૩માં તબક્કામાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન અંતર્ગત ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે.મુખ્યમંત્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એકજ દિવસમાં ૩પ,પ૮૩ ઉપરાંત લાભાર્થીઓને ર૮૧ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.

રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૩મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.૧૪ અને ૧પ બે દિવસ માટે ૩૩ જિલ્લા અને ૪ મહાનગરો મળી ૩૭ સ્થળોએ યોજાવાના છે. રાજ્ય સરકારના કાર્યમંત્ર હર હાથ કો કામ, હર કામ કા સન્માનનો ઉલ્લેખ કરતા પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને હાથોહાથ આપવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી ‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી વિકાસની રાજનીતિના બે દાયકાના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. તેમણે ગુજરાતમાંથી ગરીબી દૂર કરવા સાથે રોજગારી આપવા અને ઉદ્યોગોના વિકાસ સાથે લોકોને ધંધારોજગાર આપવા માટેનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને વંચિતોને યોજનાકીય લાભો આપવાનું તેમણે શરૂ કર્યું છે. જેના ફળ આપણને આજે મળી રહ્યા છે.
વડાપ્રધાનના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતમાં સુવ્યવસ્થિત માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, ૨૪ કલાક વીજળી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો, તેમ કહેતા પટેલે ઉમેર્યું કે, આ પાયા ઉપર અમારી સરકાર વધુ તેજ ગતિથી આગળ ધપી રહી છે. ગુજરાતમાં મહત્તમ ઔદ્યોગિક મૂડીરોકાણ આવે તે માટે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાના પરિણામે આજે ગુજરાતમાં મોટા ઉદ્યોગસમૂહો કાર્યરત થયા છે અને તેના કારણે મૂડીરોકાણ વધવાની સાથે લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. દાયકાઓથી ગુજરાત સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અગ્રેસર છે. એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પહેલા માત્ર એક પોકેટમાં જ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રોજગારી માટે વડોદરાથી વાપી સુધીના પટ્ટામાં જ જવું પડતું હતું. તેની સામે પાયાની ભૌતિક અને આંતરમાળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના કારણે આજે તાલુકાકક્ષાએ પણ ઉદ્યોગો સ્થપાયા છે અને લોકોને સ્થાનિક રોજગારી મળતી થઇ છે. જેના કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

ડબલ એન્જીન સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. તેની ભૂમિકા આપતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા આવાસો, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ, જનધન યોજનામાં બેંક ખાતા, પી.એમ સ્વનિધિમાં નાના ફેરિયાઓને ગેરેંટી વિનાની લોન સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત નલ સે જલ અંતર્ગત ગુજરાતમાં ૯૮ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આદિજાતિ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એ માટે મેડિકલ અને ઇજનેરી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. મુખ્યમંત્રીએ ગોધરા જિલ્લા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, કડાણા ડેમમાંથી પાનમ ડેમમાં પાણી નાખવાની યોજનાને રાજ્ય સરકાર દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સાકાર થતાં ખેડૂતો માટે સિંચાઇનું પાણી ઉપલબ્ધ થશે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આત્મનિર્ભર ગુજરાત થકી સાકાર કરવા સૌને સાથે મળી આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે અંત્યોદયની ભાવના સાકાર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો માર્ગ પ્રશસ્ત કરી વંચિતોને તેમને મળવાપાત્ર લાભો એક છત્ર હેઠળ આપવાની કાર્યશૈલી વિકસાવી છે અને તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ વધારી છે. છેલ્લા બે દાયકાથી સર્વસમાવેશક નીતિથી સરકારે જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. સ્પષ્ટ નીતિ અને સાફ નિયતને કારણે ગુજરાતે વિકાસના અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. પ્રારંભમાં કલેકટર સુજલ મયાત્રાએ સૌનો આવકાર કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વ જયદ્રથસિંહજી પરમાર, સી. કે. રાઉલજી, સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રભારી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, અધિક વિકાસ કમિશનર અર્જુનસિંહ રાઠોડ, પ્રભારી, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત લાભાર્થીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security