- પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-PARINAM પોર્ટલનું મુખ્યમંત્રીએ કર્યુ લોન્ચીંગ
- ‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે આયોજિત પરિસંવાદમાં મુખ્યમંત્રીનો નવતર અભિગમ
- પદાધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી ફિલ્ડની કામગીરી-સમસ્યાઓની વિગતો મેળવી
- પદાધિકારીઓ-અધિકારીઓના પરસ્પર સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા આહવાન
- રિયલ ટાઇમ મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે-પેપર લેસ વર્ક કલ્ચર માટે PARINAM ઉપયોગી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતા પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓ, ઉપ પ્રમુખો અને કારોબારી સમિતીના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં આયોજિત પરિસંવાદમાં સંબોધન કર્યુ હતું.
‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે યોજાયેલા આ પરિસંવાદમાં મુખ્યમંત્રીશ્રીએ નિર્ધારીત કાર્યક્રમ કરતાં નવતર એક અભિગમ અપનાવ્યો હતો. તેમણે આ પરિસંવાદમાં સહભાગી એવા જિલ્લા પંચાયત પ્રમુખો, ઉપ પ્રમુખો અને કારોબારી અધ્યક્ષો સાથે પ્રવચન શ્રેણીને બદલે વાતચીત-પરસ્પર સંવાદનો ઉપક્રમ યોજ્યો હતો.
મુખ્યમંત્રી 10 જેટલા જિલ્લાઓના પદાધિકારીઓ પાસેથી તેમની કામગીરી, રાજ્ય સરકાર તરફથી મળતા પ્રોત્સાહન, ફિલ્ડ લેવલે ઉદભવતા સ્થાનિક પ્રશ્નો-વહીવટી બાબતોની વિશદ જાણકારી પ્રશ્નોત્તરીના માધ્યમથી મેળવી હતી. વિકાસ કામોના લોંગ ટર્મ પ્લાનીંગ-લાંબાગાળાના આયોજનથી સાતત્યપૂર્ણ કામો દ્વારા નાણાંનો પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ પરિસંવાદના પ્રારંભ પ્રસંગે પંચાયત વિભાગ દ્વારા પંચાયતી રાજને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવા માટે ‘પંચાયતી રાજ ઇન્ફોરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (PARINAM) પોર્ટલનું ઈ લોકાર્પણ કર્યુ હતું. આ PARINAM પોર્ટલ દ્વારા તાલુકા કક્ષાએથી રાજ્ય સરકાર સાથે સીધો પેપરલેસ સંવાદ થશે,એક સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી કર્મચારીની આંતરીક જિલ્લા ફેર-બદલી, બઢતી અને અન્ય યોજનાઓનું Real-Time મોનીટરીંગ અને મેનેજમેન્ટ શક્ય બનશે.
એટલું જ નહી, PARINAM ને ભવિષ્યમાં ઈ-સરકાર સાથે જોડીને, પંચાયત વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પારદર્શક અને પેપરલેસ થવા તરફ હરણફાળ ભરશે. પંચાયત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત પદાધિકારીઓને રાજ્ય-કેન્દ્રની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંવાહક બનવા માર્ગદર્શન આપ્યુ હતું. અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ દરેક જિલ્લાનાં લોકોની જરૂરિયાત મુજબ ‘Bottom Up’ એપ્રોચ ધરાવતા તથા UNDPના સસ્ટેનેબલ ગોલ્સને અનુરૂપ માસ્ટર પ્લાન બનાવવાના સૂચનો કર્યા હતા. એક દિવસીય પરિસંવાદમાં ડીસ્ટ્રીક્ટ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, તાલુકા પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, જિલ્લા પંચાયતનાં સ્વભંડોળ વધારાનાં પ્રયાસો, નાણાંકીય શિસ્ત તથા નાણાનું સુવ્યવસ્થિત આયોજન તેમજ IT ક્ષેત્રે પંચાયત વિભાગનાં યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.
પંચાયત પરિષદના પ્રમુખ નયનાબહેન પટેલે આભાર દર્શન કર્યુ હતું. પંચાયત-ગ્રામ વિકાસના અગ્ર સચિવ મિલીન્દ તોરવણે, વિકાસ કમિશનર સંદીપ કુમાર તથા વરિષ્ઠ અધિકારીઓ આ પરિસંવાદમાં જોડાયા હતા