published by : Rana kajal
- સોશ્યલ મીડિયા ઉપર ચૈતર વસાવાને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ્યો જવાબ
- દેડિયાપાડાની વિવિધ એજન્સીઓના કામો અને વન વિભાગની એક કરોડની ચા અંગેની તપાસનું શું થયું સાંસદે ધારાસભ્ય પાસે માંગ્યો જવાબ
નર્મદા જિલ્લામાં BJP સાંસદ અને AAP ધારાસભ્ય વચ્ચે આક્ષેપો, પ્રતિ આક્ષેપો અને લેટરબાજી હવે સોશ્યલ મીડિયા ઉપર પણ શરૂ થઈ ગઈ છે. દેડિયાપાડાના આપના ધારાસભ્યએ BJP સાંસદને હપ્તાખોર નેતાઓ અંગે જાહેરમાં ખુલાસો કરવા પત્ર લખ્યા બાદ ભરૂચના સાંસદે સોશ્યલ મીડિયા પર વળતો જવાબ આપી પ્રહાર કર્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ FB ઉપર પોસ્ટ કરી MLA ચૈતર વસાવાને જણાવ્યું છે કે, BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જે પત્ર લખ્યો છે તે તેઓએ નથી લખ્યો. આ વિશે MP એ મિડિયા સમક્ષ તથા અનેક લોકો સમક્ષ ખુલાસો કર્યો છે.
જે પત્ર જીલ્લામાં આ ક્ષેત્રે કામ કરનાર નારાજ લોકોએ લખ્યો હશે એવું મનસુખ વસાવાનું માનવુ છે. આ પ્રશ્ન બાબતે 18 માર્ચના રોજ જીલ્લા સંકલનની બેઠક પહેલા મુખ્ય અધિકારીઓ સાથે પણ તેઓની ચર્ચા થઈ હતી. જીલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ MLA સાથે તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની સાથે આ પત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
છતાં પણ આ પ્રશ્નને ચૈતર વસાવા જાણી જોઈને નકારાત્મક પ્રસિધ્ધિ મેળવા વેગ આપી રહ્યા હોવાનું સોશ્યલ મીડિયા પર સાંસદે લખ્યું છે. આ પત્રમાં BJP પાર્ટીના આગેવાનોના પણ નામ છે. સાંસદે કહ્યું છે કે, હું શું કામ પત્ર લખુ? આ પત્ર મૈં નથી લખ્યો અને એમાં પત્રમાં મારી સહી પણ નથી.
ચૈતર વસાવાને મારો જવાબ છે કે, મનરેગા યોજના હોય કે કોઈપણ પ્રકારના બાંધકામના કામો હોય. રોડ રસ્તા સહિતના તમામ બધા જ કામોમાં ગુણવત્તા જળવાય, સરકારી નાણાનો સદઉપયોગ થાય એના માટે જિલ્લા દીશા બેઠક કે જિલ્લા સંકલન બેઠકમાં મેં સતત જિલ્લાના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતો આવ્યો છું.
કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સીનો બચાવ કરતો નથી. હા મેં એટલું ચોક્કસ અધિકારીઓને ધ્યાન દોર્યું છે કે, મંજુર થયેલા જે તે એજન્સી પાસે કામો છે તે સમય મર્યાદામાં પુરા કરવા જોઈએ, મનરેગા જેવી યોજનાથી ગરીબોને રોજગારી મળવી જોઈએ, તેવો મે સતત અધિકારીઓ પાસે આગ્રહ રાખ્યો છે. જે જિલ્લાના ગરીબોના હિત માટેનું કામ છે.
વિવિધ સરકારી યોજનાઓના કામો કોના સમર્થકો, કોના સગાઓ કરે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે દિવાળી કે હોળી કરવા અથવા તો પોતાના અંગત ખર્ચ માટે કોણ કોણ હપ્તાઓ ઉઘરાવે છે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને દમદાટી કોણ આપે છે? તેની તપાસ નિષ્પક્ષ રીતે કમિટી બનાવી તપાસ કરવી જોઈએ.
વધુમાં MP એ મારા સંબંધી કે મારા સમર્થકો આ કાર્યમાં નથી અને જે કરતા હશે તે સરકારના નિયમ પ્રમાણે કરતા હશે. કોઈની સાથે દાદાગીરી કે દમદાટી આપતા નથી. ચૈતર વસાવાને હું પૂછું છું તમે એક મહિના પહેલા વન વિભાગના ડેડીયાપાડાના એક કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ચા – પાણી માટે ખર્ચ કર્યાનો ખોટો આક્ષેપ વન વિભાગ પર મૂક્યો હતો. તમે જે તપાસ માંગી છે તેનું શું થયું ? તેનો જવાબ આપો.
ડેડીયાપાડા તાલુકામાં કામ કરતી કૃષ્ણા એજન્સી તથા ધર્મેન્દ્ર એજન્સી તથા આર.સી.બોરવેલ આ ઉપરાંત તમારી સાથે જોડાયેલ લોકોએ કયાં કયાં કામો કઈ એજન્સીના અંડરમાં રહીને કર્યા છે? તેની પણ તપાસ કરાવો, અને તે કામોની હાલત આજે શું છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ચૈતરભાઈ હું જે પણ બોલું છું તે અથવા જ્યાં સરકારમાં રજૂઆત કરું છું તે પ્રજાના હિતમાં અને જિલ્લાના હિતમાં બોલું છું અને રજૂઆત કરું છું. હું બીજા લોકોની જેમ કામોમાં તપાસ માંગી તોડ પાણી નથી કરતો. કોઈ એજન્સી માટે જિલ્લામાં રજૂઆત કરી છે તો તેને નિયમ પ્રમાણે મળેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા મે અધિકારીઓને ધ્યાન દોર્યું છે.
ગરીબોને મનરેગા જેવી યોજનામાં સમયસર રોજગારી મળે તે માટે ચિંતા કરી છે, તે મારી ફરજમાં આવે છે. આક્ષેપો કરવા એ જુદી વાત છે અને વાસ્તવિકતા જુદી છે. તમારા સિવાય નર્મદા કે ભરૂચ જિલ્લામાં કોઈએ મારા પર આવો આક્ષેપ મૂક્યો નથી. મારા કરેલા કામોના આધારે હું લોકસભામાં ચૂંટાઈને જાવ છું. આખરી નિર્ણય કરવાનો અધિકાર જનતા પાસે હોય છે અને છ ટર્મ થી જનતાના આશીર્વાદ મળી રહ્યા છે.
સાંસદે વધુમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી AAP ધારાસભ્યને જવાબ આપતા કહ્યું છે કે, હું મારી પાર્ટીને વફાદાર છું એ બધું પાર્ટી પણ જાણે છે, પ્રજા પણ જાણે છે. હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી. જેમ તમે છોટુભાઈ વસાવા તથા મહેશભાઈ વસાવાને પીઠ પાછળ ખંજર ભોંખ્યું છે. તમારે જેટલા આક્ષેપ કરવા હોય તે કરો મને કોઈ ફરક પડવાનો નથી. સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા નથી. હું પણ PM નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી જનતાની સેવા અને માત્ર પ્રજાના હિતમાં કાર્ય કરું છું. સત્તાનો મોહ મને નથી.
સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ સાથે સાંસદે CM ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા, નાંદોદ MLA, દેડિયાપાડા પૂર્વ ધારાસભ્યને પણ ટેગ કર્યા છે.