Published By : Parul Patel
- ✍️ઝગડીયા ફાયરિંગ કેસમાં જૈમીન મુદ્દે એના કહેવાતા મિત્રોએ કરી પ્રેસ કોન્ફરન્સ (??!!)
- ✍️ જૈમીન વિરુદ્ધ એકતરફી અખબારી અહેવાલો ગણાવી આરોપીઓના મિત્રોએ મીડિયા પાસે ન્યાય માગ્યો.
- ✍️ સ્વબચાવમાં ગુન્હો આચરનાર તેમ કરવા માટે બીજાને દોષિત ઠેરવી, સ્વંયમ બચી શકે ?? જૈમીન જૂથે બધા માટે છોટુ ભાઈને જવાબદાર ઠેરવ્યા…
ઝગડીયાની બહુવિવાદીત ફાયરિંગની ઘટના ને ગાંધીનગરની રાજકિય લોબીએ તેની પાછળના રાજકિય પીઠબળના પરિણામે ગંભીર ગણી, સમગ્ર ઘટના પાછળના કોઈપણ સૂત્રધાર, ગુન્હેગારને ધળમૂળથી કાયમી રીતે પતાવી દેવાની કડક સૂચના આપતા પોલિસ તંત્રએ પણ તાત્કાલિક જરૂરી પગલાં ભરી 22 જેટલા આરોપીઓ અને હથિયારો ઝડપી પાડી દાખલા રૂપ કાર્યવાહી આરંભી છે…
તો બીજી બાજુ તમામ મીડિયાએ પણ આખી ઘટનાને ગેંગવોર ગણીને ઓછા નુક્સાને જ કાયમી ઉકેલ લાવવા ગંભીરતા પૂર્વક સમાચાર માધ્યમોમાં સ્થાન આપ્યું છે. પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે વિઝ્યુઅલ મીડિયા. હા,મીડિયા મેનેજમેન્ટ માટે રૂપિયા લૂંટાવનારાઓ એમની કોશિશમાં સફળ ન થતા, નાસી પાસ જરૂર થયાં છે. દરમ્યાન ચેનલ નર્મદાએ આ ગેંગવોરમાં જેનું નામ મોખરે રહ્યું છે એવા જૈમીનની તલસ્પર્શી છાન બિન કરી ઘણી વાતો બહાર લાવી છે, એના પુરાવાઓ પણ રજૂ કર્યા છે. સ્વપ્ન મહેલ એવા કરોડોની કિંમતના જૈમીનના બંગલાની વિઝ્યુઅલ સાથેનો બ્લોગ મેં જનતા સમક્ષ મુકતા જૈમીનની છાવણીમાં ભારે રોષ,ઉશ્કેરાટ, ગભરાટ ફેલાયો હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટના બાદ અંગત રાજકિય પીઠબળ ધરાવનાર એક ખાસ નેતાજી દ્વારા મીડિયાનું મોરલ તોડવાના અને જૈમીન તરફના ગંભીર સ્થિતિ ને હળવી બનાવવાની એક શકુની ચાલ ગોઠવાઈ. ગમે તેટલા રૂપિયા ખર્ચી ને પણ પોતાનો પક્ષ મજબૂત,ન્યાયિક દર્શાવવા,કે વિરોધ-આક્ષેપોને હળવા કરવા જૈમીનના માટીના કામો કરનાર, સાથે સંકડાયેલા બે-ત્રણ મિત્રોએ ભરૂચના જ એક વ્યાજખોરીના ગુન્હામાં જેલમાં જઈ આવેલા અને સદંતર નિષ્ફળ નિવડેલા બહુ બદનામ એક નેતાને પકડી, મારા કેટલાક પત્રકાર મિત્રોને સોમવારે રાત્રે ફોન કરી, જૈમીનના માણસો પ્રેસ કોન્ફરન્સ કરવા ઈચ્છે છે, તમે એકવાર મળી લો…કહી 6…7 પત્રકારોને ઓમકારનાથ ઠાકુર હોલસામે આવેલી RK સ્કવેર બિલ્ડીંગમાં બોલાવ્યા હતા. નિયમોનુસાર આવી પ્રેસ કોન્ફ્રન્સ માટે એક પ્રેસનોટ બનાવી પત્રકારોના વહોટસપ ગ્રુપમાં નાખવાની હોય છે જેથી બધા આવી શકે, પણ પેટમાં પાપ રાખી આ જૂથમાં જાણી બુઝીને ઘણાને બાદ રખાયા, જેમાં ચેનલ નર્મદા પણ સામેલ હતી. આને પત્રકાર પરિષદ કહેવી કે કેમ?? એ પણ પ્રશ્ન હતો, તેમ છતાં ચેનલ નર્મદાએ એની પત્રકારત્વની સૈદ્ધાંતિક નીતિને સ્વીકારી આ કહેવાતી PC ના જૈમીનના એક વ્યવસાય મિત્રના ઇન્ટરવ્યૂને જન હિત, અને સંપૂર્ણ પારદર્શિતાના ભાગ રૂપે મારા બ્લોગ અને ચેનલમાં સમાચાર રૂપે લીધા છે. હા, એનો અક્ષરસહ જવાબ આપવા હું બંધાયેલો છું, સક્ષમ છું અને એ મારું કર્તવ્ય અને ધર્મ છે. પત્રકાર છું, બધાનું ઘણું બધું લખું છું, તો કોઈ મને પણ ખુલ્લા દિલે પૂછી શકે, સાચો હોઉં તો સાચી વાત કહેવામાં શરમ શું?? પ્રજાને મારા વિશે પણ સત્ય જાણવાનો હક્ક તો છે જ…ને ના હું કોઈ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલો છું, ના કોઈ ખોટા ધંધા છે, તો ડર શેનો?? કોઈ માને, ના માને, અસ્વીકાર કરે એ એની મરજી…હું પત્રકાર છે, નેતા નથી…ભાઈ કુલદીપ વઘાસિયા તો ઠીક, જૈમીન પણ કોઈ પ્રશ્નો પૂછે તો જવાબ આપવાની મારી નૈતિક ફરજ તો છે જ. અત્રે કુલદીપ વઘાસિયાએ જે ઇન્ટરવ્યૂ મારા 4-5 મિત્રોને આપ્યો એ સ્પીચ અને એની વરબેટાઇલ સ્ક્રીપટ આ બ્લોગમાં મારા વાચકો માટે પ્રસ્તુત છે, એક શબ્દ છુપાવ્યા વિના…એક પણ રૂપીઓ લીધા વિના…એ પણ સ્પષ્ટ…પછી જૈમીનના આ મિત્રને વાકયે વાકયે સચોટ જવાબ આપીશું, એ મિત્રનો પણ કુંડળી જોઈ પરિચય આપીશું. જાણું છું, ઘણાને આમાં રસ નહીં પડે…પણ બીડું ઝડપ્યું છે તો પરિણામે તો પહોંચવું જ પડશે…ભલે રીડર્સ 100-200 હોય…🙏
📌 આ છે કુલદીપ વઘાસિયાની સ્પીચ ની સ્ક્રીપટ..
“તમે બહુ સારી રીતે જાણો છો કે અત્યારે ઝઘડિયા જીઆઇડીસીમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ મેળવવા માટે “ગેંગવોર” ની ઘટના બતાવી છે એ ગેંગવોર નથી પણ ધંધાકિય લડાઈ છે અને આ ઘટનામાં જયમીન પટેલનું નામ ઉછળી રહયું છે ત્યારે આ બાબતે અમારો પક્ષ રાખવા માટે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે જેમાં અમે તમને કેટલી ન જાણેલી વાતો જણાવવા માંગીએ છીએ. આ પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ..
મુદ્દો -1 : જયમીન પટેલ અને તેના મળતિયાઓએ રજની વસાવા પર ફાયરિંગ કર્યું અને વાહનોમાં તોડફોડ કરી પણ અમારો સવાલ એ છે કે, કંપનીનો કોન્ટ્રાકટ મેળવવા માટે રજની વસાવા સાઉથનું ફીલ્મ ચાલતું હોય તેમ 20 થી વધારે ગાડીઓ તેમજ 100 થી વધારે હથિયારધારી માણસો સાથે કંપનીમાં કેમ ગયો હતો ? શું તેનો ઇરાદો કંપની સંચાલકોને ડરાવવાનો હતો ? અથવા તો જયમીન પટેલ નું કામ બંધ કરાવવા નો હતો?
મુદ્દો – 2 : ઝઘડિયા જીઆઇડીસીમાં વર્ષોથી છોટુભાઇ વસાવા અને તેમના પરિવારનો દબદબો હતો. વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકો અત્યાર સુધી ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત કેમ રહયો તેના કારણો આપ સૌ સારી રીતે જાણો છો. છોટુભાઇ વસાવા અને તેમના પરિવારે કંપનીઓ વાળાઓને એ હદે ડરાવ્યાં અને ધમકાવ્યાં છે કે તેમને ઉદ્યોગો બંધ કરી દેવાની નોબત આવી હતી અને નર્મદા સ્કૂટર ફેકટરી તેનું ઉદાહરણ છે. આ વિસ્તારમાં વિકાસના દુશ્મન કોણ છે તે આપ સારી રીતે જાણો છો અને તેના તમે પણ સાક્ષી છો. ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં આવેલી કંપનીઓમાંથી હપ્તાઓ કોણ ઉઘરાવે છે ? રજની વસાવા કે જે યુથ પાવરનો પ્રમુખ પણ છે અને છોટુભાઇનો ભાણેજ પણ છે. અત્યાર સુધી રજની વસાવા કેમ ચૂપ રહયો ? હવે જ કેમ અવાજ ઉઠાવવા સામે આવ્યો છે ? છોટુભાઇ વસાવા ના પરિવારે ઉજળિયાતોની જમીનો એટ્રોસીટીની ધમકીઓ આપી પચાવી પાડી છે. આજે ઉજળીયાતો તેમના જ ખેતરમાં મજૂર તરીકે કામ કરવા માટે મજબુર બની ગયાં છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ ? છોટુભાઇ વસાવાએ માત્ર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે તેમણે પોતાના પરિવાર સિવાય અન્ય માટે કશું કર્યું નથી. તેઓ બે બે પત્નીઓ રાખી આદિવાસી સમાજને શું સંદેશ આપવા માગે છે ? છોટુભાઇ એન્ડ કંપની પાસે કેટલી જમીનો છે અને તેમાં કેટલી એમના નામ પર છે અને શેરડીનું ઉત્પાદન કરી કેટલી આવક મેળવે છે તેની તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
મુદ્દો -3 : છોટુભાઇ વસાવાના દીકરાઓ પાસે કયાં રાજયોમાં કેટલી જમીનો છે ? કયાં શહેરોમાં વૈભવી બંગલાઓ છે ? કેટલી વૈભવી ગાડીઓ છે ? આ તપાસ કરાવવામાં ભાજપ ના કેટલાક નાના-મોટા નેતાઓના હાથ કેમ કાંપી રહયાં છે ? રજની વસાવા અને રાજુ વસાવા વાલિયા તાલુકામાં કેટલી સરકારી ગૌચર તથા પંચાયત ની જમીનો પચાવી પાડી છે તેની સરકાર કોઇ તપાસ કરાવશે ખરૂ ? સાંસદ મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે તો આ બાબતે કેમ બોલતાં નથી. છોટુ ભાઈ એ આપેલા કોઈ બલિદાન ના લીધે? છોટુભાઇ વસાવા અને તેમના મળતિયાઓએ આદિવાસી ગરીબોની જમીનો પચાવી પાડી છે તે બાબતે કેમ સાંસદ કોઇ ફોડ પાડતાં નથી ? જો આ ગરીબોને તેમની જમીન પાછી મળી જાય તો ઝઘડિયા વિધાનસભા ની અડધી ગરીબી દુર થઇ જાય તેમ છે છતાં સાંસદ આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. તો સાંસદને પણ આવી સદબુધ્ધિ કેમ આવતી નથી ?
મુદ્દો – 4 : હવે આપડે વાત કરીશું નર્મદા ચેનલના ડીરેકટર નરેશ ઠકકરની જો તેઓ બીજાના બંગલાની વેલ્યુએશન કઢાવી શકતા હોય તો રજની વસાવા અને છોટુભાઇ એન્ડ કંપનીના મહેલોની તથા જમીન અને વાહનોનું વેલ્યુએશન કેમ કઢાવતાં નથી ? તેમનું આ સમીકરણ અમને સમજાતું નથી કે તેઓ કોઇના માટે કોઇનું ભીનું સંકેલી રહયાં છે ? કે તેમના પણ જિલ્લાના કોઇ મોટા માથાનું દબાણ છે ? નરેશભાઇ ને કેહવા માંગુ છું કે જો તમે બીજાના સીસીટીવી ચેક કરવા નુ કેહતા હોવ તો ભાજપના કયાં નેતાની કયાં મીટીંગ થઇ તેની વિગતો માગે છે ત્યારે અમે તેમને હું નમ્રતાપૂર્વક કહું છું કે પોતાની જ ઓફિસના સીસીટીવી ચેક કરાવો. તારીખ 13મી જુલાઇના રોજ બપોરના 2 થી 4 ના ગાળામાં રજની વસાવા તેમની ઓફિસમાં કેમ આવ્યો હતો ? નરેશભાઇ ઠકકરે ખેલદીલી પૂર્વક આ બેઠકનું સત્ય જાહેરમાં આવીને કહેવું જોઇએ જેથી સમાજને પણ ખ્યાલ આવે કે એ બે કલાકમાં બંધ બારણે શું રંધાયું તે પણ જાહેર કરવું જોઇએ.
અમારો મુદ્દો – 5 : નરેશભાઇ ઠકકર જયોતિષ વિદ્યાના જાણકાર હોવાનું અમારે ધ્યાને આવ્યું છે. જયોતિષ શાસ્ત્રમાં અત્યાર સુધીમાં એવી તે કેવી કમાણી કરી કે વૈભવી બંગલાના માલિક ગયાં તમે ? જો જયોતિષમાં કમાયા કે પત્રકારત્વમાં ? કરોડોમાં આળોટતા તમે કેવી રીતે થયાં તે પણ ભરૂચ જિલ્લાની જનતા જાણવા માટે ઉત્સુક છે. કોઇ પણ વેપારી માણસ ધંધો કરીને કમાતો હોય છે તો શું કોઈ ધંધો કરીને બંગલો ન બનાવી શકે એના માટે તમને પૂછવા આવવું પડે ? તમે જયોતિષ ભલે રહયાં પણ સાથે પત્રકાર પણ છો એ વાત તમારે ભૂલવી ન જોઇએ. તમે માત્ર અને માત્ર એક તરફી સમાચારો અને બ્લોગ લખો છો જે ખોટું નથી પણ જે પણ લખો તે નિષ્પક્ષ કે સાચું લાખો જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય. જો તમે નિષ્પક્ષ લખશો તો લોકો ને લાગશે કે તમે સાચા અર્થમાં પત્રકારત્વનો ધર્મ નિભાવી રહયાં છો અને લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત અને અડીખમ રાખવામાં તમારૂ યોગદાન આપી રહયાં છો.. બાકી એક તરફથી લખાણ જ લખ્યાં કરશો તો તમે તમારી વિશ્વસનીયતા ગુમાવી રહયાં છો…