Published by : Parul Patel
- ✍️ દેશના રાજા વડાપ્રધાન, રાજ્યના રાજા મુખ્ય મંત્રી તો જિલ્લાના રાજા જિલ્લા કલેકટર ??!! પ્રજાનુ કોણ???
- ✍️ ભરૂચ જિલ્લો તો છોડો, માત્ર શહેર આખુ સ્થાનિક વહીવટ એવા નગરપાલિકા સામે હાર્યું-થાક્યું છે : શહેર જિલ્લાના રાજા કલેકટર સાહેબ આપ ક્યાં છો??
- ✍️ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલા ભરૂચ નગરપાલિકાના સાશનમાં તમામ પ્રાથમિક સુવિધાઓ નામ પૂરતી, કોણ થશે પ્રજાનો બેલી??
લોકશાહી દેશમાં જનતા જનાર્દન તો ખરી જ, પણ વહીવટી તંત્ર ચલાવવા, પ્રજાની સુખ સુવિધાઓની ચિંતા કરવા, કાયદા કાનૂન ઘડવા, પ્રજાની સર્વાંગી ચિંતા કરવા માટે એક વડા પ્રધાન અને આખુ પ્રધાનમંડળ હોય છે…આવું જ દેશના બધા જ 28 જેટલાં રાજ્યોમાં રાજ્યસરકારોને ચલાવવા મુખ્યમંત્રીઓ હોય છે, જેમની નીચે મંત્રીમંડળ હોય છે, દેશમાં 8 યુનિયન ટેરિટરીઝમાં પણ અલગથી વહીવટી તંત્ર હોય છે…
ગુજરાતને વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ કરનાર બે ગુજરાતી રાજકીય વ્યક્તિઓ, મોદી સાહેબ અને શાહ સાહેબે તો ગુજરાતના વહીવટને આદર્શ મોડેલ તરીકે દેશ આખામાં પ્રસિદ્ધ અને સફળ બનાવ્યું છે.. પહેલીવાર દેશપર આ બે ગુજરાતીઓ એ સફળ અને લોકભોગ્ય સાશન ચલાવ્યું છે, અને હેટ્રિક માટે કટીબદ્ધ પણ છે…
ભાજપની ચારે તરફ વાહવાહી છે, જેના બે મજબૂત પાયા મોદીજી અને અમિત શાહજીની વહિવટી પકડ અને ધાક છે, અથાગ પુરુષાર્થ છે…પણ આ બે મહાન હસ્તીઓની જોરે, તાકાતે ગુજરાતમાં સત્તા સંભાળનાર પછી એ ચૂંટાયેલો નેતા હોય, કે અમલદારી સાશન ચલાવનાર વહીવટદાર, પણ તેઓ એમની પોતાની અણઆવડતના કારણે અથવા સ્વકેન્દ્રિત નીતિઓના કારણે પ્રજાની સેવાકીય કામગીરીમાં નિષ્ફળ જનારા ઘણાં નિર્બળ નેતાઓ કે વ્યક્તિઓના પરિણામે ગુજરાતમાં પ્રજામાં અસંતોષ જોવા મળે છે, જેમાં અકારણ સત્તાધારી પક્ષ-ભાજપ બિનજરૂરી રીતે બદનામ થાય છે…
ભરૂચ જિલ્લામાં પણ મહદ અંશે આવીજ સ્થિતિ જોવા મળે છે. એક વાર સત્તા મળ્યા બાદ… તમામ ક્ષેત્રે.. તબક્કે જવાબદાર વ્યક્તિઓ, એમની જવાબદારીમાં બિનકાળજી રાખી, જનસુવિધાઓની ધરાર અવગણના કરીને એવો વહીવટ કરે છે, જેના કારણે પ્રજા દુઃખી દુઃખી થઈ જાય છે… અને જો મીડિયા આવા જનપ્રતિનિધીઓ પછી એ કોઈ પણ પદે હોય, કે વહીવટ કર્તાના દોષ શોધીને પ્રજા સમક્ષ મૂકે છે, આવા પ્રજાના અવાજને, દર્દને અવાજ આપવાનું જે કામ લગભગ મીડિયાએ જ કરવાનું આવે છે, અને જો એ ધર્મ -કર્મ નિષ્ઠા પૂર્વક બજાવાય છે તો પાછા કેટલાક સત્તાધારીઓ એને ભાજપ વિરોધી, પક્ષ વિરોધીનુ ટાઇટલ મારી છેક ઉપર સુધી બદનામ કરી ક્યાંક ને ક્યાંક ભેરવી પાડવાના કાવતરા કરાય છે, મને – ચેનલ નર્મદાને આવો કડવો અનુભવ પણ થઇ ચુક્યો છે, જે પછી વિગતવાર ચર્ચીશું….પણ હાલનો જે મોટો ઇસ્યુ વારંવાર ભરૂચ શહેરની જનતાએ વેઠવાનો આવે છે, વર્તમાન ગંભીર સમસ્યા બની છે, એ ભરૂચ નગરપાલિકાની તદ્દન ખાડે ગયેલા વહીવટની છે… પાલિકા દ્વારા મૂળભૂત રીતે અપાતી સેવાઓમાં પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, જાહેર નાના મોટાં રસ્તાઓ, એમનો વિકાસ, મેઇન્ટેનન્સ, ડ્રેનેજ સુવિધા અને સહુથી અગત્યની અને વિશ્વપ્રસિદ્ધ મોદીજીની અતિપ્રિય એવી સ્વચ્છતા…કચરાના નિકાલ, સફાઈ…જાહેર વીજળી સુવિધા…
ભરૂચના કમભાગ્યે પ્રજા આ તમામ પ્રાથમિક સુવિધાઓમાં બહુ જ ગરીબ, કમનસીબ અને દુઃખી છે. બધા જ મીડિયા અસંખ્ય વાર ભરૂચ નગરપાલિકાની આ તમામ ક્ષેત્રોમાં મહત્તમ નિષ્ફળતા મેળવવા બદલ રોષ વ્યક્ત કરતી રહે છે…છેલ્લા એક બે વર્ષમાં શહેરની વીજળીના પાલિકાએ ભરવાના બિલ જ ના ભરાતા વારંવાર વીજળીના મીટર DGVCL કાપી જાય છે, ત્રણ દિવસથી જાહેર વીજળી વ્યવસ્થાઓમાં અંધકાર છવાયેલો છે. મારાં સ્ટાફના મિત્ર એ ફોટો સાથે ફરિયાદ કરી કે સાહેબ 70 % શહેરમાં અંધાર પટ છે, તો ચકલાના કેટલાક વિસ્તારમાં રાત દિવસ લાઈટો ચાલુ રહે છે…આવો ગેરવહીવટ કરનારાઓને સજા કોણ અને ક્યારે કરશે?? કેમ કોઈ પગલાં નિષ્ફળ વહીવટ કર્તાઓ સામે લેવાતા નથી…?? વિરોધપક્ષે ‘ભિક્ષા’ માંગવાનું આંદોલન પણ કર્યું… છાપાઓએ કાગારોળ મચાવી… કોઈના પેટનું પાણી હાલતુ નથી…આતો વીજળી કનેકશન કપાયા અને અંધાર પટ થયો, પાલિકાના દેવાળિયા વહીવટના પાપે… વરસાદ હોય કે ના હોય, DGVCL એ મેન્ટેનન્સના નામે ક્યારે કેટલીવાર વીજળી બંધ કરી એનો હિસાબ કોઈની પાસે છે?? ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ખરા જ, પણ જિલ્લાના, શહેરના વહિવટી વડા, ‘રાજા’ તરીકે જિલ્લા કલેકટર સાહેબે ભરૂચીઓને પડતી આટલી બધી, ને આવી કેટલીક સમસ્યાઓ માટે કેટલા અને કેવા પગલાં કોની સામે લીધા, કે કેમ ના લીધા, એ પણ એક પૂછવા જેવો પ્રશ્ન છે, ‘રાજા’ નો હિસાબ તો ના જ માંગી શકાય, પણ જીજ્ઞાસા વશ, એક નાગરિક તરીકે પ્રશ્ન તો પુછી જ શકાય… આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ કલેકટર સાહેબ સાથેની નિયમિત (?) સંકલનની બેઠકમાં ક્યારેય પાલિકાની, જનતાની સમસ્યાઓ પછી એ કચરાના નિકાલ માટેની ડમ્પીંગ સાઈટ, જે વર્ષોથી નથી, અને એવી કરુણ – કપરી પરિસ્થિતિમાં પણ ‘લીવેબલ અને લવેબલ’ ભરૂચનો કન્સેપટ ચાલ્યો, હજુ ડમ્પીંગ સાઈટ ભરૂચને મળી નથી, કેટલાય જિલ્લા સમાહર્તાઓ આવ્યા અને ગયા… હજુ પ્રજાને ભૂગર્ભ ગટર યોજનાઓ માટેની ગટરનું જોડાણ, એના અંતિમ સોલ્યૂશન એવા સેન્ટ્રલ સમ્પનો ઉકેલ મળ્યો નથી.રસ્તાઓ તો થાગડ થીંગડથી ચલાવાય છે…
અસંખ્ય પ્રશ્નો કાયમી ઉકેલ માંગતા વર્ષોથી ઉભા જ છે… શહેરનું CMO-PMO સુધી કોણ રજુઆત કરે?? બધાને વાહવાહી અને કામચલાઉ લાભો જોઈએ છે… પ્રજાના દર્દની રાજા ચિંતા નહિ કરે તો પ્રજાએ કરવું શું?? જવું ક્યાં?? શું પાલિકાની નિષ્ફળતાના મુદ્દે પણ હવે હાઇકોર્ટમાં જવાનું?? PIL કરવાની?? જો કોઈ મર્દ મૂછાળાએ કરી પણ…તો એટલી બધી ક્ષતિઓ, ગેરરીતિઓ અને ગોટાળા છે કે પાલિકા એકાદ બે મહિનાની મહેનતે જ સુપરસિડ થઈ જાય… હા, ઠેકેદારો જરૂર કાગારોળ કરશે કે “આ તો ભાજપ વિરોધીઓનું કાવત્રુ છે.” પણ હવે શહેરનું દર્દ, પ્રજાની યાતનાઓ CMO-PMO સુધી કોઈકે તો પહોંચાડવી જ પડશે અને વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે પોલમ પોલ ચલાવનારોને ખુલ્લા પાડવા પડશે…