મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ભગવાન શ્રી ગણપતિ દાદાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી.
ગણેશ ઉત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઊજવણી માટે જાણીતા વડોદરાના આ વખતના પર્વમાં સહભાગી બની મુખ્યમંત્રીએ નગરજનોના આનંદ ઉમંગમાં વધારો કર્યો હતો. અહીં 1300થી પણ વધુ પંડાલોમાં શ્રીજી બિરાજમાન છે અને હાલમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.17.59-AM.jpeg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સર્વ પ્રથમ હરણી વિસ્તારમાં મીરા ચાર રસ્તા પર બિરાજેલા બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને બાપ્પાની ભવ્ય પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરના દાંડિયા બજાર ખાતે શ્રીમંત સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 42 વર્ષથી સ્થાપવામાં આવતા બાપ્પાના ભક્તિભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. અહીં તેમણે બાપ્પાની વિધિ-વિધાન પૂર્વક પૂજન કરી માલ્યાર્પણ કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.17.59-AM-1.jpeg)
અત્રે ઉલ્લેખનીય છે કે, 1980થી અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જાણીતા ભાગવત્ કથાકાર પૂ.ડોંગરેજી મહારાજે આની શરૂઆત પૂજા અર્ચન કરી કરાવી હતી. ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આ શ્રીજીના દર્શન કરવા અચૂક આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ પોલો ગ્રાઉન્ડ બગીખાના, પરાગરજ ગરબા ગ્રાઉન્ડ, તંબોળી, વારસિયા રીંગ રોડ માંજલપુર, ઈલોરા પાર્ક તથા સુભાનપુરા વિસ્તારમાં ગણેશ પંડાલોમાં જઈને શ્રીજીના દર્શન તેમજ પુજા-અર્ચન કર્યા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.17.59-AM-2.jpeg)
આ પ્રસંગે કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સમાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપભાઈ પરમાર, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, મેયર કેયુરભાઈ રોકડિયા હાજર રહ્યા હતા. તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, અગ્રણીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર અતુલ ગોર, પદાધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )