સુરત
જીએસટીની ચોરી કરવા અંગે વેપારીઓ નીત નવી તરકીબો અજમાવી રહ્યા છે હાલમાં સુરતમાં GSTની ચોરીમાં નવી ચાલાકી પકડાઈ હતી જેમાં સામાનનું બિલ રૂ 48 હજારનું, અને વાસ્તવમાં માલ રૂ 1 કરોડનો જણાયો હતો
હાલમાં સુરત રેલ્વે સ્ટેશન પર રૂ.50 હજારથી ઉપરનુ બિલ હોય તો જ ચેક કરવામાં આવે છે. રેલવે મારફત ચાલતા જીએસટી કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં ઇ-વે બિલની રૂપિયા 50 હજારની લિમિટનો લાભ લઇને માલ મોકલનારાઓ સરકારને કરોડોનો ચૂનો રોજ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ પકડાયેલી એક નવી જ મોડસ ઓપરેન્ડી મુજબ રેલવે મારફત આવેલા રૂપિયા એક કરોડથી વધુના તમાકુના માલના બિલ પર કિંમત માત્ર 48 હજાર બતાવવામાં આવી હતી.
જીએસટીની તપાસ બાદ તેમાં હાલ દસ લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે અને યુ.પી.થી આવેલા આ તમાકુ મામલે વધુ તપાસ થઈ રહી છે. અધિકારીઓ કહી રહ્યા છે કે રેલવે 50 હજારથી વધુનુ ઇ-વે બિલ હોય તો જ ચેક કરી શકે છે જેનો લાભ લઇને કૌભાંડીઓ ગમે તેટલી રકમનો માલ હોય બિલ રૂપિયા 50 હજારથી નીચેનુ જ બનાવી રાખે છે. સ્વભાવિક છે કે આ બિલ બોગસ હોય છે. જેમ કસ્ટમ વિભાગ એરપોર્ટ પર એક ટીમ રાખે છે તેમ દેશના દરેક રેલ્વે પ્લેટફોર્મ પર જીએસટીની ટુકડી હોવી જોઇએ. જીએસટીના અધિકારી જણાવી રહ્યા છે કે. તમાકુ અને કપડાના કેસમાં ઍક સરખી મોડસ ઓપરેન્ડી જણાઈ રહી છે
તાજેતરમાં બે કેસ પકડાયા હતા. તમાકુની કિંમત 1 કરોડની ઉપર હતી પરંતુ બિલ પર 48 હજાર બતાવવામાં આવી હતી. જ્યારે કપડાના એક કેસમાં 25 લાખનો માલ હતો તેની સામે બિલની કિંમત 38 હજાર બતાવવામાં આવી હતી. યુપીથી તમાકુનો જે જથ્થો સુરત આવ્યો તેને લેવા માટે કોઈ આવ્યું ન હતુ. એનો અર્થ એ કે, બીલ અને માલ મોકલનાર પાર્ટી બન્ને બોગસ હતા. આમ તમાકુ જેવી મોંઘી કોમોડિટીના કૌભાંડીઓ માટે આ છટકબારીઓ ગ્રીનકોરીડોર સમાન છે. કૌભાંડમાં રેલવેના અધિકારીઓની પણ સંડોવણી હોય શકે છે. કારણ કે, દેખીતી રીતે લાખોના પાર્સલ હોવા છતાં તેમને હજારોના તરીકે ખપાવી દેવામાં આવે છે.
દરેક સ્ટેશન પર ચેકિંગ જરૂરી
રેલવે મારફત માલની હેરાફેરીના કેસમાં પ્લેટફોર્મ પર જ જીએસટીની એક ચોકી હોવી જોઇએ જેથી જે માલ આવે તેમાં અન્ડર ઇનવોઇઝ કરવામાં આવ્યુ હોય તો તેની જાણ થઈ જાય. પરંતુ હાલ માત્ર આકસ્મિક ચેકિંગ જ થાય છે. ચેકિંગની વ્યવસ્થા સમગ્ર દેશના રેલવે પ્લેટફોર્મ પર હોવી જોઈએ. અત્રે નોંધવુ રહ્યું કે સૂરત ખાતેથી રેલવે દ્વારા જેટલો માલ સામાન જાય છે તેના કરતાં વધુ માલસામાન આવે છે..