રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ગત ઉનાળામાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જીટીયુ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અંદાજે 94 જેટલા વિદ્યાર્થીઓ તપાસ અધિકારીઓની રડારમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પર એક વર્ષ સુધી પરીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજા તબક્કાની આ સુનાવણીમાં 157 વિદ્યાર્થીઓને રુબરુ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં 94 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
39 વિદ્યાર્થીઓને એક સેમિસ્ટર માટે નાપાસ જાહેર કરવામાં આવ્યા
જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતીનો મામલો સામે આવ્યો હતો. જેમાં ડિગ્રી ડિપ્લોટમાંએન્જિનિયર ફાર્મસી અને મેનેજમેન્ટની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને સજા કરાઈ છે. 94 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 39 વિદ્યાર્થીઓને એક સેમિસ્ટર માટે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 18 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે. જ્યારે 6 વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. કુલ 157 વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
પરીક્ષામાં અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા
પરીક્ષાઓમાં ગેરરીતિને રોકવા માટે ફુલ પ્રુફ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરવાના રસ્તા શોધી લેતા હોય છે. જીટીયુ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. નિયમ મુજબ ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કમિટી સમક્ષ સુનાવણી માટે રુબરુ બોલાવવામાં આવે છે. અગાઉ પ્રથમ તબક્કાની સુનાવણીમાં જીટીયુએ 150 જેટલા વિદ્યાર્થીઓને સજા જાહેર કરી દીધી હતી. હાલમાં જ બીજા તબક્કાની સુનાવણીમાં 157 વિદ્યાર્થીઓને પણ સજા કરવામાં આવી છે.