સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતા સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં EDને ધરપકડ કરવા, દરોડા પાડવા, સમન્સ પાઠવવા, સંબધિતોનુ નિવેદન લેવા સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન (Enforcement Directorate) રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમિયાન કારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું છે કે ED સમક્ષ આપવામાં આવેલ નિવેદન એ પુરાવા છે. હકીકતમાં, પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં EDની સત્તા, ધરપકડનો અધિકાર, સાક્ષીઓને બોલાવવાની રીત અને સંપત્તિ જપ્ત કરવાની અને જામીન પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-27-at-1.42.09-PM-1024x583.jpeg)
એજન્સી CrPC ને અનુસરવા માટે બંધાયેલી હોવી જોઈએ
અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ, જામીન, સંપત્તિ જપ્ત કરવાની સત્તા સીઆરપીસીના કાર્યક્ષેત્રની બહાર છે. આ કાયદાની ઘણી જોગવાઈઓ ગેરબંધારણીય છે, કારણ કે કોગ્નિઝેબલ ગુનાની તપાસ અને ટ્રાયલ માટેની પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી. અરજીઓમાં કહેવામાં આવ્યું હતુ કે તપાસ એજન્સી તપાસ કરતી વખતે CrPCનું પાલન કરવા માટે બંધાયેલી હોવી જોઈએ. આ કેસમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સહિત અનેક વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયથી રાહુલ-સોનિયા ગાંધીને રાહત નહી
સુપ્રીમ કોર્ટે આજે પીએમએલએ એક્ટમાં EDને ધરપકડ કરવા, દરોડા પાડવા, સમન્સ પાઠવવા, સંબધિતોનુ નિવેદન લેવા સહિતની તમામ સત્તાઓને યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે, નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ રહી છે. તેમાં કોઈ પ્રકારે રાહત મળી શકશે નહી.