Published by : Vanshika Gor
ભારતમાં આ વર્ષે યોજાનાર 50 ઓવરનો વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. જાણવામાં આવી રહ્યું છે કે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCIએ 10 ટીમો વચ્ચે યોજાનારી આ ટુર્નામેન્ટ માટે 12 શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડ કપમાં નોકઆઉટ સહિત કુલ 48 મેચો રમાશે. જો કે હજુ સુધી આ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
આ શહેરોમાં મેચો યોજાશે
મેચ બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ, અમદાવાદ અને મુંબઈમાં યોજાઈ શકે છે. ટાઇટલ મેચો સિવાય, BCCIએ હજુ સુધી કોઈપણ મેચ માટે સ્થળ પસંદ કરવાનું બાકી છે. બે-ત્રણ શહેરોમાં વોર્મ-અપ મેચો રમાશે. ભારતના ઘણા ભાગોમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને સ્થળ નક્કી કરવાનું બાકી છે.
આ કારણે શિડ્યુલ જાહેર કરવામાં વિલંબ
સામાન્ય રીતે, ICC ઓછામાં ઓછા એક વર્ષ અગાઉ વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરે છે, પરંતુ આ વખતે તે BCCIની ભારત સરકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવવાની પણ રાહ જોઈ રહ્યું છે. તેમાં બે મુખ્ય મુદ્દા સામેલ છેઃ ટૂર્નામેન્ટ માટે ટેક્સ મુક્તિ અને પાકિસ્તાન ટીમ માટે વિઝા ક્લિયરન્સ, જે 2013થી ભારતમાં ICC ઇવેન્ટ સિવાય રમી નથી.