Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની ભેટ ધરશે.વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
વડાપ્રધાન બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. ત્યારબાદ બનાસકાંઠાના થરાદ ખાતેથી રુપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે.
વડાપ્રધાન 1લી ઓક્ટોબરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.