Published by : Vanshika Gor
PM નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ બંનેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં પીએમએ કહ્યું કે બંને દેશોએ સીમા પાર આતંકવાદી ઘટનાઓને ખતમ કરવા અને વેપાર વધારવા પર ભાર મૂક્યો છે. આ સાથે પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ વાત કરી અને કહ્યું કે બંને દેશોની સહમતિ છે કે આ યુદ્ધ જેટલું બને એટલુ વહેલું ખતમ થવુ જોઈએ.
ભારત અને જર્મની વચ્ચે વધતો સહયોગ લોકો માટે ફાયદાકારક
PMએ કહ્યું કે ભારત અને જર્મની જેવી 2 સૌથી મોટી લોકતાંત્રિક અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધતો સહકાર બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે અને વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે. આ ઉપરાંત મોદીએ કહ્યું કે યુરોપમાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર હોવા ઉપરાંત જર્મની રોકાણનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેમણે કહ્યું કે અમે સુરક્ષા અને સંરક્ષણ સહયોગમાં સંબંધોને વિસ્તૃત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
આર્થિક સંબંધો સુધારવા પર ભાર
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીતનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, ટકાઉ વિકાસ ભાગીદારી અને આર્થિક સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રે ગાઢ સંબંધો બનાવવા પર હતું.